આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિશે મોટો દાવો કર્યો છે. જગન મોહન રેડ્ડીએ કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા હોટલાઇન પર રાહુલ ગાંધીના સંપર્કમાં છે. તેમણે એમ પણ કહ્યું કે, “જ્યારે રાહુલ ગાંધી મત ચોરીની વાત કરે છે, ત્યારે તેઓ આંધ્રપ્રદેશ વિશે નિવેદન કેમ નથી આપતા, જ્યાં જાહેર થયેલા પરિણામો અને મતગણતરીના દિવસના પરિણામો વચ્ચે સૌથી વધુ 12.5% મતોનો તફાવત છે. તેઓ અરવિંદ કેજરીવાલ વિશે કેમ નથી બોલતા? જ્યારે અરવિંદ કેજરીવાલ પોતે ધારાસભ્યની ચૂંટણી હારી ગયા હતા. તેઓ આવું નથી કરતા.
તેમણે વધુમાં કહ્યું, “રાહુલ ગાંધી આંધ્ર વિશે વાત કરતા નથી કારણ કે ચંદ્રાબાબુ નાયડુ રેવંત રેડ્ડી દ્વારા હોટલાઇન પર રાહુલ ગાંધીના સંપર્કમાં છે… રાહુલ ગાંધી જેવા વ્યક્તિ વિશે હું શું ટિપ્પણી કરી શકું, જે પોતે પોતાના કામ પ્રત્યે પ્રમાણિક નથી.
રવિવારે અગાઉ, જગનમોહન રેડ્ડીએ પુલિવેન્ડુલા અને વોન્ટીમિટ્ટા સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર “લોકશાહીને નબળી પાડવાનો” આરોપ લગાવ્યો હતો. રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે નાયડુએ સત્તા મેળવવા માટે “ષડયંત્ર, હુમલા, અત્યાચાર, જુઠ્ઠાણા અને છેતરપિંડી” નો આશરો લીધો હતો.
X પરની એક પોસ્ટમાં, જગને આરોપ લગાવ્યો કે નાયડુ, સાચા કાર્ય દ્વારા જાહેર સમર્થન મેળવવાને બદલે, “પોલીસ અને અન્ય અધિકારીઓની શક્તિનો ઉપયોગ કરીને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હતા”. રેડ્ડીએ આરોપ લગાવ્યો કે પેટાચૂંટણીની સૂચના જારી થયા પછી, “પોલીસ અત્યાચાર શરૂ થયો” અને સેંકડો પાર્ટી નેતાઓ અને કાર્યકરોને ડરાવવામાં આવ્યા, જેમાંથી ઘણાની સામે અગાઉ કોઈ કેસ નહોતા.

