ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગમાં 21 ટકા ઘટાડો, પોઝીટીવ કેસ 17 ટકા ઘટયા
ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યા બાદ હાલત ફરી રાહતપૂર્ણ થવા લાગી છે ત્યારે રાજયમાં ટેસ્ટીંગમાં 21 ટકા જેવો નોંધપાત્ર ઘટાડો થયો છે.ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં કોરોનાને કાબુમાં લેવા માટે અનેકવિધ નિયંત્રણો વચ્ચે દૈનિક ટેસ્ટીંગ 69540ના સર્વોચ્ચ સ્તરે હતા. હવે ત્રણ મહીના પછી ટેસ્ટીંગનો ગ્રાફ નીચો આવી ગયો છે. કોરોના ટેસ્ટીંગ છુટ્ટથી કરવામાં આવી રહ્યા છે છતાં ડીસેમ્બરના પ્રથમ 14 દિવસમાં ટેસ્ટીંગ ઘટીને સરેરાશ 64269 થઈ ગયા છે. મંગળવારે છેલ્લા 27 દિવસના સૌથી ઓછા 54883 ટેસ્ટીંગ થયા હતા.
છેલ્લા દસ દિવસના આંકડાકીય રીપોર્ટ ચકાસવામાં આવે તો દૈનિક સરેરાશ ટેસ્ટ 54883 થયા છે જયારે દૈનિક કેસ 1455થી ઘટીને 1110 થયા છે. ટેસ્ટીંગમાં 21 ટકાનો ઘટાડો છે જયારે પોઝીટીવ કેસની સંખ્યામાં 17 ટકાનો ઘટાડો છે.ગુજરાતમાં ડીસેમ્બર મહિનાનો પોઝીટીવીટી દર 2.1 ટકા રહ્યો છે જે નવેમ્બરના 2.08 ટકાથી થોડો વધ્યો છે. ઓકટોબરના 2.2 ટકાથી થોડો નીચો છે.
આરોગ્ય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગુજરાત મોટાભાગે રેપીડ એન્ટીજેન ટેસ્ટ જ કરે છે. દરરોજ થતા કુલ ટેસ્ટમાંથી 90 ટકા રેપીડ ટેસ્ટ હોય છે. આરટી-પીસીઆર ટેસ્ટ મોટાભાગે કોરોનાના ચોકકસ લક્ષણ ધરાવતા દર્દી પર જ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય તબીબી સારવાર કરાવવા કે પ્રવાસ માટે પ્રમાણપત્ર મેળવવા આ ટેસ્ટ કરાવાય છે.
ગત જુલાઈ મહિના સુધી ગુજરાત આરટી-પીસીઆર ટેસ્ટ પર જ નિર્ભર હતું અને એટલે દૈનિક ટેસ્ટ સરેરાશ 12617 જ થતા હતા અને પોઝીટીવીટી રેટ 8.51 ટકા રહેતો હતો. ઓગષ્ટથી રેપીડ એન્ટીજેન ટેસ્ટ શરૂ થયા હતા. દૈનિક ટેસ્ટ વધીને સરેરાશ 50550 થવા લાગ્યા હતા અને પોઝીટીવીટી રેટ ઘટીને 2.67 ટકાએ આવી ગયો હતો.
મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં જીલ્લાવાર ટેસ્ટીંગ તથા પોઝીટીવીયી રેટ જુદા છે. અમદાવાદ તથા સુરતમાં જ 87.52 લાખમાંથી 36.31 લાખ ટેસ્ટ કરાયા હતા તેનો અર્થ એવો થાય છે કે 10માંથી 4 ટેસ્ટ આ બન્ને જીલ્લામાં જ થયા હતા. બીજી તરફ વડોદરા તથા જામનગર જીલ્લા સૌથી વધુ પોઝીટીવીટી રેટ નોંધાયો છે જે અનુક્રમે 4.28 તથા 4.24 ટકા હતો. ગાંધીનગરનો પોઝીટીવીયી રેટ 3.49 ટકા, સુરતનો 3.3 ટકા તથા મહેસાણાનો 3.22 ટકા છે.રાજકોટને લાગેવળગે છે ત્યાં સુધી પોઝીટીવીટી રેટ 3.12 ટકા છે. રાજયના કુલ છ જીલ્લામાં પોઝીટીવીટી રેટ 3 ટકાથી અધિક છે.
મંગળવારના રોજ 11ના મોત, 1236 દર્દીઓ સાજા થયા