હવે 60 વર્ષથી ઉપરની વ્યક્તિ એર ઈન્ડિયામાં 50 ટકા ભાડું ચૂકવી હવાઈયાત્રા કરી શકશે
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવાઈ યાત્રા કરનારા સિનિયર સિટીઝન યાત્રિકોને મોટી ભેટ આપી છે. દેશમાં 60 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હવે એર ઈન્ડિયાની ટિકિટ અડધા ભાવે ખરીદી શકશે. વિમાનન મંત્રાલય દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાની વેબસાઈટ ઉપર આ સ્કીમ અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જો કે અમુક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે જે અનુસાર ભારતીય નાગરિકતા પ્રાપ્ત, ભારતમાં સ્થાયી રૂપે રહેતાં વરિષ્ઠ નાગરિક જેમની વય 60 વર્ષ પૂર્ણ થઈ ચૂકી હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યાત્રિકોએ ઈકોનોમી ક્લાસના મુળ ભાડાના 50 ટકા રકમ ચૂકવવી પડશે. 60 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ ભારતના કોઈ પણ રાજ્યની હવાઈ મુસાફરી કરી શકશે અને તેમણે બુક કરાવેલી ટિકિટ એક વર્ષ સુધી માન્ય ગણાશે. જો કે તેમણે યાત્રા કરવાના સાત દિવસ પહેલાં ટિકિટ બુકિંગ કરાવવી ફરજિયાત છે.
ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા તરફથી આ પ્રકારની સ્કીમ પહેલાં પણ ચલાવવામાં આવી રહી હતી પરંતુ હવે મંત્રાલય તરફથી તેને માન્યતા આપી દેવામાં આવી છે. એર ઈન્ડિયાને સરકાર પ્રાઈવેટ હાથમાં આપવાની કોશિશ કરીર હી છે. તાજેતરમાં જ એવી જાણકારી સામે આવી હતી કે ટાટા ગ્રુપ ફરી એક વખત એર ઈન્ડિયાનું સંચાલન કરી શકે છે. ટાટા ગ્રુપે એર એશિયા ઈન્ડિયા દ્વારા ઈઓઆઈ પણ દાખલ કર્યું છે. એર એશિયામાં ટાટા ગ્રુપની નોંધપાત્ર ભાગીદારી છે.
સાત દિવસ પહેલાં ટિકિટ બુક કરાવવી પડશે