લાખણીમાં જકેશ્વર મહાદેવ મંદિરે શિવ આરાધના; ભગવાન ભોળાનાથ એ દેવોના દેવ છે એટલે એમનું એક નામ મહાદેવ છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભક્તો વિવિધ પ્રકારે શિવપૂજા કરે છે. કળિયુગના સમયમાં પાર્થિવ પૂજાનું ખૂબ મહત્વ છે. પવિત્ર શ્રાવણ મહિનામાં જે ભક્તો પાર્થિવ શિવ પૂજા કરે છે એમને ફળ ભોળાનાથ આપે છે કારણ કે પાર્થિવ પૂજા એ કળિયુગમાં ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. જે માણસ તન, મન કે ધનથી દુ:ખી હોય કે પછી પોતાની સર્વ મનોકામના પૂર્ણ કરવા માટે પોતાના કલ્યાણ માટે જે જે ભક્ત શિવ પાર્થિવ પૂજા કરે છે તો એના ઉપર મહાદેવ પ્રસન્ન થાય છે.
પાર્થિવ પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શુધ્ધ માટી લાવવી. ત્યારબાદ એ માટીમાંથી ભાવ સાથે ભગવાન ભોળાનાથનું શિવલિંગ તૈયાર કરવું અને શિવ પરિવાર તૈયાર કરવા. ત્યારબાદ બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે એ શિવલિંગનું પૂજન કરવું અને પૂજા-આરતી કર્યા બાદ એ શિવલિંગને નદી કે તળાવમાં વિસર્જન કરવું. શિવલિંગના અલગ અલગ પ્રકાર હોય છે જેમ કે સ્ફટિકનું શિવલિંગ આવે, પારાનું શિવલિંગ આવે, પથ્થરનું શિવલિંગ આવે વગેરે પણ આ બધા જ શિવલિંગમાં પાર્થિવ એટલે કે માટીના શિવલિંગનું મહત્વ વધારે છે એમાંય કળિયુગના સમયમાં જે માણસ શિવ પાર્થિવ પૂજા કરે છે તો એ માણસ વિવિધ દુ:ખોમાંથી મુક્ત થાય છે અને એની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન ભોળાનાથને શ્રાવણ માસ અતિ પસંદ છે અને અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા અને પોતાના કલ્યાણ માટે શિવ પાર્થિવ પૂજા કરવી જોઈએ.

