પાલિકા પ્રમુખે સ્થળ પર હાજર રહી પાણી નિકાલની કામગીરી કરાવી વાહન વ્યવહાર પુનઃશરૂ કરાવ્યો.
હવામાન વિભાગની આગાહીના પગલે શનિવાર રાતથી શરૂ થયેલ વરસાદ રવિવાર બપોર સુધી અનરાધાર વરસતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી. તો શહેરના પ્રવેશદ્વાર સમા રેલવેના પ્રથમ ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર સહિત રાહદારીઓની આવન જાવન સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યા હતા. તો બપોર બાદ વરસાદે વિરામ લેતાની સાથે જ પાલિકા પ્રમુખે રેલવેના પ્રથમ ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેની યુદ્ધના ધોરણે કર્મચારીઓ પાસે કામગીરી શરૂ કરાવી હતી. કર્મચારીઓએ વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બરોને ખોલી જેટિંગ મશીનથી તેની સાફ સફાઈ કરી વરસાદી પાણીને અવરોધતા કચરાનો નિકાલ કરી રેલવે ગણનાળામાં ભરાયેલા પાણીને ખાલી કરાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવતા પાલિકા પ્રમુખ સહિત કર્મચારીઓની કામગીરીને સૌએ સરાહનીય લેખાવી હતી.

