ગુજરાતભર માંથી આવેલા દેવીપૂજકોએ સ્વજનોની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પી દિવાસાનું પર્વ મનાવ્યું…!
30 થી વધુ લક્ઝરી અને ટ્રેન મારફતે મોટી સંખ્યામાં ગુજરાત અને અન્ય રાજયો માંથી દેવીપૂજક સમાજ ના લોકો આવી પોતાની પરંપરા નિભાવી. પાટણ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત દેવીપુજક સમાજ દ્વારા અષાઢવદ ચૌદશના દિવસને દિવાસાના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે સમગ્ર દેશ અને ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં દેવીપુજક સમાજના લોકોએ શહેરના હડકમાઈ મંદિર પાસે આવેલ દેવીપુજક સમાજની સ્મશાનભુમિમાં અને પીતાંબર તળાવ પાસે આવેલ સ્મશાનભુમિમાં પોતાના સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.તો મહિલાઓએ પોતાના સ્વજનોને યાદ કરી હૈયાફાટ રુદન કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપતા સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઇ જવા પામી હતી.
સ્મશાનભુમિમાં અગરબત્તી અને દિવા કરી, ફુલહાર ચઢાવી અને નાળીયેર વધેરી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવતા સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી.શ્રદ્ધાંજલિના પ્રસંગ બાદ સમગ્ર દેવીપુજક સમાજના લોકોએ આ દિવાસાના પવિત્ર દિવસને ધાર્મિકરૂપે તહેવારના રૂપે ઉજવી પોતાના દુરદુરથી આવેલા સ્વજનોની મુલાકાત લીધી હતી.ત્યારે પટણી સમાજના વિવિધ સંગઠનો અને પાલિકાતંત્ર દ્વારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો માટે પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.તો જિલ્લા પોલીસ વડા દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પ્રથમ દિવાસા નિમિતે અમદાવાદ નરોડા ફ્રૂટ બજારના વેપારી ધ્વરા વિમાનની પ્રતિકૃતિ બનાવી વેપારી અને દિવાસા માટે આવેલા દેવીપૂજક સમાજ ના લોકો એ અમદાવાદ પ્લેન દુર્ઘટના થી મોતને ભેટેલા લોકો ને આ પ્રંસગે યાદ કરી શ્રદ્ધાંજલિ આપી તેમની આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


