સ્થાનિકોએ લાકડીઓ વડે આખલા ઓને ભગાડતા લોકોએ રાહત અનુભવી
પાટણ શહેરના રેલવે ગરનાળા વિસ્તારમાં મંગળવારે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા અફરા તફરી મચી જવા પામી હતી. શહેરના ભરચક વિસ્તારમાં આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. સ્થાનિક લોકોએ લાકડીઓનો ઉપયોગ કરી આખલાઓને વિસ્તારમાંથી ભગાડ્યા હતા, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ નગરપાલિકાની રખડતા ઢોર નિયંત્રણની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના જાહેર માર્ગો પર વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાથી લોકોનું માનવું છે કે પાલિકાની ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત છે.
નગર પાલિકાની રખડતા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ અસરકારક ન હોવાનું સ્પષ્ટ થયું છે. આવી ઘટનાઓ શહેરીજનોની સલામતી માટે જોખમરૂપ બની રહી છે. લોકોમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.પાલિકા તંત્ર દ્વારા શહેર માથી રખડતાં ઢોરની સમસ્યા નું કાયમી નિરાકરણ લાવવા લોક માગ ઉઠવા પામી છે.

