પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઠેરઠેર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે ટ્રાફિક પ્રભાવિત થતા છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી.બસની ટકકરે બાઈક સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો.
પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર કાણોદર નજીક એસટી બસની અડફેટે બાઈક ચાલકનું મોત થતા વધુ એક પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-ધાનેરા બસ ના ચાલકે બાઈક ચાલક ને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. દરમિયાન, પોલીસે આવી ટ્રાફિક પૂર્વવત કરાવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પુલની કામગીરી વચ્ચે બન્યો અકસ્માત ઝોન; પાલનપુર અમદાવાદ હાઇવે પર ગઠામણ-કાણોદર-છાપી સહિત ઠેરઠેર બ્રિજની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ટ્રાફિક જામ થઈ જતા છાશવારે અકસ્માત સર્જાઈ રહ્યા છે. એકબાજુ બિસ્માર હાઇવે અને ઉપરથી ચાલી રહેલી કામગીરીને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતો ને લઈ અને વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં જ આર એન્ડ બી માં વર્ક આસીટન્ટ તરીકે ફરજ બજાવતા આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે ફરી એકવાર બાઈક ચાલક કાળનો કોળિયો બનતા અમદાવાદ હાઇવે અકસ્માત ઝોન સાથે જીવલેણ પુરવાર થઇ રહ્યો છે.


