પાલિકાની ખાડા પુરવાની નિષ્ક્રિયતા ને કારણે બનેલ બનાવ ના પગલે લોકોમાં રોષ ભભૂકીયો..!
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે પડેલા મસમોટા ખાડાઓનું પાલિકાના નઘરોળ તંત્ર દ્વારા પુરાણ કામ નહિ કરાતાં માગૅ પરથી પસાર થતાં અનેક રાહદારીઓ સહિત નાના મોટા વાહન ચાલકો આ ખાડામાં પટકાતાં અકસ્માતની ધટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શનિવારે વહેલી સવારમાં વોર્ડ નંબર 8 માં કલ્યાણેશ્વર ની પોળ, જૂના ગંજ બજાર નાકા પાસે રહેતા નરેન્દ્રભાઈ ગણપતલાલ પંચાલ ઉ.વ.66 નાઓ કે જે દુધ નો વ્યવસાય કરતાં હોય તે દૂધ આપવા સોનીવાડા ખાતે પોતાની સાયકલ ઉપર જતા હતાં તે દરમ્યાન અચાનક રોડ પરના ખાડામાં સાયકલ પટકાતાં નરેન્દ્રભાઈ પંચાલ સાયકલ પરથી પટકાતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં હેમરેજ થતાં તેઓનું ધટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
ધટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત લોકો ના ટોળા સાથે વિસ્તારના નગરસેવક ભરતભાઈ ભાટિયા એ ધટના સ્થળે દોડી આવ્યા હતાં. નરેન્દ્રભાઈ પંચાલ નું ખાડામાં પટકાવાથી થયેલ મૃત્યુ મામલે પરિવાર સહિત પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો. આ દુઃખદ ધટનાને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલીકા ના ભ્રષ્ટ તંત્ર દ્વારા શહેર ના ખાડા પુરાણ માટે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માગ પણ લોકોમાં ઉઠવા પામી હતી. મૃતક ની લાશનું પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરી લાશ વાલી વારસો ને સોપવામાં આવી હતી. જોકે બનાવ મામલે પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણી શકાયું નથી.

