કેન્સર અને HIV જેવા રોગોથી પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર છે. ખૂબ જ ટૂંક સમયમાં તેમના પર મોંઘી દવાઓનો બોજ કંઈક અંશે ઓછો થઈ શકે છે. હા, ભારતમાં ટૂંક સમયમાં HIV, કેન્સર, ટ્રાન્સપ્લાન્ટ દવા અને હિમેટોલોજી જેવા ગંભીર રોગોની સારવારના ખર્ચમાં ઘટાડો જોવા મળી શકે છે. હકીકતમાં, સરકારી પેનલે લગભગ ૨૦૦ દવાઓ પર કસ્ટમ ડ્યુટીમાં છૂટછાટ આપવાની ભલામણ કરી છે. આનાથી સારવારનો ખર્ચ ઓછો થશે.કેન્સર અને અન્ય ક્રોનિક રોગોથી પીડાતા દર્દીઓને રાહત આપવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી આંતર વિભાગીય સમિતિએ ઉચ્ચ અસરવાળી તબીબી આયાત પર કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ અને છૂટછાટોની ભલામણ કરી છે. આ અહેવાલમાં પેમ્બ્રોલિઝુમાબ (બ્રાન્ડ કીટ્રુડા), ઓસિમર્ટિનિબ (બ્રાન્ડ ટાગ્રિસો), અને ટ્રાસ્ટુઝુમાબ ડેરક્સ્ટેકન (બ્રાન્ડ એન્હર્ટુ) જેવી અનેક વૈશ્વિક બ્લોકબસ્ટર કેન્સર દવાઓ પર સંપૂર્ણ કસ્ટમ ડ્યુટી મુક્તિની ભલામણ કરવામાં આવી છે. આ દવાઓ ફેફસાં, સ્તન અને અન્ય આક્રમક કેન્સરની સારવારમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. ઊંચી આયાત જકાતને કારણે આ દવાઓ ઘણા લોકોની પહોંચની બહાર થઈ ગઈ છે. કારણ કે આ દવાઓની કિંમત પ્રતિ ડોઝ લાખો છે.
આ પેનલની રચના ઓગસ્ટ ૨૦૨૪ માં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી હતી. આ પેનલનું નેતળત્વ જોઈન્ટ ડ્રગ કંટ્રોલર આર ચંદ્રશેખર કરી રહ્યા છે. તેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસના સભ્યોનો સમાવેશ થાય છે. આ પેનલનો ઉદ્દેશ્ય ભારતીય દર્દીઓ માટે કેન્સર, દુર્લભ રોગો, ટ્રાન્સપ્લાન્ટ અને અદ્યતન નિદાન માટે જીવનરક્ષક સારવારને નોંધપાત્ર રીતે વધુ સસ્તું બનાવવાનો છે.
રિપોર્ટનો એક ભાગ દુર્લભ રોગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં સારવારનો ખર્ચ ઘણીવાર પરિવારોની પહોંચની બહાર હોય છે. પેનલે સ્પાઇનલ મસ્કયુલર એટ્રોફી, સિસ્ટિક ફાઇબ્રોસિસ, ગૌચર રોગ, ફેબ્રી રોગ, લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર અને વારસાગત એન્ઝાઇમની ઉણપ જેવી સ્થિતિઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઉપચાર પદ્ધતિઓ પર કસ્ટમ ડ્યુટી મુક્તિની ભલામણ કરી છે. આમાંની ઘણી સારવાર જનીન–આધારિત અને એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી (વિશ્વની સૌથી મોંઘી દવાઓમાંની એક) છે, જેનો કોર્સ કરોડો રૂપિયાનો છે. દુર્લભ રોગોની યાદીમાં બ્લોકબસ્ટર દવાઓમાં ઝોલ્જેન્સ્મા, સ્પિનરાઝા, એવરીસ્ડી, સેરેઝાઇમ અને તખ્ઝીરોનો સમાવેશ થાય છે. આ બધી દવાઓ ખૂબ મોંઘી છે.

