વિસાવદરમાં AAPનો વિજય: ગોપાલ ઈટાલિયાની જીતથી ડીસામાં ઉજવણી, ભ્રષ્ટાચાર સામે જનતાનો જનાદેશ

વિસાવદરમાં AAPનો વિજય: ગોપાલ ઈટાલિયાની જીતથી ડીસામાં ઉજવણી, ભ્રષ્ટાચાર સામે જનતાનો જનાદેશ

ગુજરાતમાં યોજાયેલી બે વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં કડી બેઠક પર ભાજપનો વિજય થયો છે, ત્યારે સૌની નજર ખેંચનારી વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો ભવ્ય વિજય થયો છે. આ જીતથી ગુજરાતભરમાં AAPના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં AAPના ગઢમાં ગાબડું પાડી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી, ત્યારે વિસાવદરમાં ભાજપના ગઢમાં ગાબડું પાડીને AAPએ ગોપાલ ઈટાલિયાની જીત હાંસલ કરી છે. છેલ્લા કેટલાક સમયથી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી – ત્રણેય મુખ્ય પક્ષોએ આ બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં, વિસાવદરની જનતાએ ફરી એકવાર ભાજપને જાકારો આપીને AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાને 17,000થી વધુ મતોની જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે.આ ઐતિહાસિક જીતની ખુશીમાં આજે ડીસા આમ આદમી પાર્ટી દ્વારા બગીચા સર્કલ અને ફુવારા સર્કલ પાસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોએ ફટાકડા ફોડી, આતશબાજી કરી અને મીઠાઈ ખવડાવીને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડો. રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “વિસાવદરની આ જીત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસાવદરની જનતાની જીત છે. આજે વિસાવદર વિધાનસભા જીતી છે અને ભવિષ્યમાં અમે ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો જીતીને સરકાર બનાવીશું તેવો મને પૂરો વિશ્વાસ છે.

આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવેએ જણાવ્યું હતું કે, “વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે થાકીને જનતાએ ગોપાલ ઈટાલિયાને ભવ્ય વિજય અપાવ્યો છે. હવે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીને જનતાના પ્રશ્નો માટે લડશે અને સાચા પ્રતિનિધિ કોને કહેવાય તેની ઓળખ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા આપશે.” આ જીતને ભ્રષ્ટાચાર સામે જનતાના જનાદેશ તરીકે જોવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *