“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ”
(જી.એન.એસ) તા.21
પાલનપુર
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે જી.ડી મોદી કોલેજ ખાતે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યૂરો પાલનપુરના અધિકારી શ્રી જે.ડી ચૌધરી એ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશના સૌ નાગરિકોને આગ્રહ કર્યો છે કે આપ પોતે યોગ કરો અને યોગને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવો, સમગ્ર વિશ્વમાં યોગને ઘર ઘર સુધી પહોંચાડી “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ”ના સૂત્રને સાર્થક કરીએ.
યોગ દિવસની ભવ્ય ઉજવણી થકી ભારત દેશના નાગરીકો પોતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે સ્વસ્થ સમાજના નિર્માણ માટે અગ્રેસર થાય તેમજ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સમગ્ર વિશ્વમાં ચરિતાર્થ કરવા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન 21મી જૂનના રોજ કરવામાં આવે છે. આ વર્ષ ની થીમ “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ“ને ચરિતાર્થ કરવા માટે કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર, યુનિટ 35 ગુજરાત બટાલિયન, એન.સી.સી , જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં એન.સી.સી કેડેટ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપક ગણ સાથે આમંત્રિત મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગ તાલીમાર્થીઓ માટે યોગ પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમનું સંચાલન આર્ટ ઓફ લિવિંગના યોગ ગુરુ શ્રી પ્રકાશ વાસુ દ્વારા કરવામાં આવ્યુ હતું.
યોગ પ્રોટોકોલ મુજબ યોગાસન, પ્રાણાયામનાં અભ્યાસ કર્યા બાદ યોગ ને જીવનનું અભિન્ન અંગ બનાવવા સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના એકેડમી ડાયરેક્ટર શ્રી અમિત પરીખે યોગ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું અને સંસ્થામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા બદલ કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર તેમજ એન.સી.સી વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં યુનિટ 35 ગુજરાત બટાલિયન, એન.સી.સી, પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર કર્નલ જગજીત બસવાનાએ પ્રસંગ અનુરૂપ ઉદબોદન આપ્યું હતું.
યોગ દિવસની ઉજવણી અંતર્ગત જૂન મહિનામાં યોગ પ્રોટોકોલની જાણકારી તેમજ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને યોગની સંપૂર્ણ સમજ આપવા માટે કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર તેમજ ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પાલનપુર શહેરના રહેણાંક સ્થળોએ યોગ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુનિટ 35 ગુજરાત બટાલિયન, એન.સી.સી, કેડેટ્સ, હોદ્દેદારો તેમજ જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના આચાર્ય રાધાબેન પટેલ સાથે કોલેજના અધ્યાપગણની ઉપસ્થિત સાથે કાર્યક્રમ આયોજનમાં જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના એન.સી.સી ઓફીસર લેફ્ટનન્ટ ડૉ . નૈલેશકુમાર પટેલ તેમજ ડો. મિહિર ભાઈ દવેના વિશેષ સહયોગ અને ઉપસ્થિત સૌ સહયોગીઓ થકી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.



