કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર તેમજ યુનિટ ૩૫ ગુજરાત બટાલિયન, એન.સી.સી, પાલનપુર જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે જી.ડી મોદી કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે જી.ડી મોદી કોલેજ ખાતે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરના અધિકારી જે.ડી ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌ નાગરિકોને આગ્રહ કર્યો છે કે આપ પોતે યોગ કરો અને યોગને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવો, સમગ્ર વિશ્વમાં યોગને ઘર ઘર સુધી પહોંચાડી “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ”ના સૂત્રને સાર્થક કરીએ.
યોગ દિવસની ભવ્ય ઉજવણી થકી ભારત દેશના નાગરીકો પોતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે સ્વસ્થ સમાજના નિર્માણ માટે અગ્રેસર થાય તેમજ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સમગ્ર વિશ્વમાં ચરિતાર્થ કરવા માટે દેશના પ્રધાનમંત્રીના સંકલ્પને વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન ૨૧ મી જૂનના રોજ કરવામાં આવે છે ત્યારે આ વર્ષ ની થીમ “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ “ને ચરિતાર્થ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં એન.સી.સી કેડેટ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપક ગણ સાથે આમંત્રિત મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગ તાલીમાર્થીઓ માટે યોગ પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમનું સંચાલન આર્ટ ઓફ લિવિંગના યોગ ગુરુ પ્રકાશ વાસુ દ્વારા કરવામાં આવ્યુ હતું. યોગ પ્રોટોકોલ મુજબ યોગાસન, પ્રાણાયામનાં અભ્યાસ કર્યા બાદ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના એકેડમી ડાયરેક્ટરએ યોગ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું અને સંસ્થામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા બદલ કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર તેમજ એન.સી.સી વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. ૩૫ ગુજરાત બટાલિયન, એન.સી.સી, પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર કર્નલએ પ્રસંગ અનુરૂપ ઉદબોદન કર્યું હતું.

