એક જ દિવસમાં 29 પોલીસ કર્મચારી કોરોના પોઝિટીવ, 164 પોલીસકર્મી કોરોનાગ્રસ્ત
કોરોના વાયરસના જોખમી રાઉન્ડમાંથી પોલીસ પણ બાકાત રહી નથી. એક જ દિવસમાં 29 પોલીસ કર્મચારીને કોરોના હોવાનું ડીટેક્ટ થતાં હાલમાં કુલ 164 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત છે. જો કે, તેમાંથી 160 ઘરબેઠાં સારવાર લઈ રહ્યાં છે એટલે ચિંતાજનક સ્થિતિ નથી. અમદાવાદ શહેર પોલીસમાં ચાલતા ટેસ્ટિંગ દરમિયાન વિતેલા 24 કલાકમાં વધુ 29 પોલીસ કર્મચારી અધિકારીને કોરોના ડીટેક્ટ થયો છે. હાલમાં કુલ 164 પોલીસકર્મી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.
નોંધપાત્ર છે કે 164 લોકોમાં ચાર પી.આઈ, પાંચ પીએસઆઈ, 28 આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, 46 હેડ કોન્સ્ટેબલ, 81 કોન્સ્ટેબલ કોરોનાની ઝપટમાં આવી ગયાં છે. હાલ કુલ 164માંથી એસવીપી, કરમસદ, સિવિલ અને વસ્ત્રાલ હેલ્થ વન હોસ્પિટલમાં એક-એક મળી કુલ ચાર પોલીસ કર્મચારી એડમિટ કરાયાં છે.
ચોંકાવનારી બાબત એ છે કે, કોરોનાના સૌથી વધુ કેસ ટ્રાફિક અને હેડ કવાર્ટરમાં નોંધાયાં છે. 164માંથી સૌથી વધુ 40 ટ્રાફિક પોલીસકર્મી, 31 પોલીસ હેડ કવાર્ટરના કેસ, 14 ચાંદખેડા, શહેરકોટડાના દસ, આઠ ક્રાઈમ બ્રાન્ચ અને રાણીપ અને સાત પોલીસ કર્મચારી સ્પેશિયલ બ્રાન્ચના છે.
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત થયેલાં પોલીસકર્મીની સંખ્યા 1184 થાય છે. 1,009 લોકો હવે સામાન્ય થઈ ગયાં છે. બેને તાવ, એકને કફ અને એકને શ્વાસ લેવામાં તકલીફ પહોંચી રહી છે. અત્યાર સુધીમાં 11 પોલીસ કર્મચારી કોરોનાના કારણે મૃત્યુ પામ્યાં છે.