(જી.એન.એસ) તા. 17
ગાંધીનગર,
છેલ્લા 48 કલાકથી સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી છે, ત્યારે ભાવનગર અને અમરેલી એટલે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. નદીઓ પણ ગાંડીતૂર બની છે અને તેને લઈને અનેક ગામના લોકો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારમાં તો જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે આ બેઠક યોજાઈ હતી.
રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં હવામાન વિભાગ, મહેસુલના અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, NDRF, SDRFની ટીમના વડા આ બેઠકમાં હાજર હતા, આ સિવાય કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ હાજર હતા, રાહત અને બચાવ કાર્ય સહિતની બાબતો પર આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
ગઈકાલે 17 જૂને રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 176 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય સાયલામાં 6.24 ઈંચ, મુળીમાં 5.32 ઇંચ, ઉમરાળા 4.77 ઇંચ, બોટાદ 4.66 ઇંચ, થાનગઢમાં 4.14 ઇંચ, વલ્લભીપુર 4.16 ઇંચ, ચુડામાં 3.79 ઇંચ, રાણપુરમાં 3.56 ઇંચ, ધંધુકામાં 3.75 ઇંચ, પેટલાદમાં 2.89 ઇંચ, ખંભાતમાં 2.85 ઇંચ, બોરસદમાં 2.82 ઇંચ, ધોલેરામાં 2.54 ઇંચ, સિહોરમાં 2.53 ઇંચ, જોડાયામાં 2.49 ઇંચ અને હળવદમાં 2.33 ઇંચ વરસાદ વરસ્યો હતો.


