ડીસા તાલુકાના અજાપુરા ગામ નજીકથી જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે ઘેટાં-બકરાં ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવામાં આવતી ચાર જીપ ડાલા ગાડીઓને ઝડપી પાડી હતી. આ ગાડીઓમાં ઘાસચારા કે પાણીની કોઈપણ વ્યવસ્થા વગર અમાનવીય રીતે પશુઓને ભરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક પશુઓ તો મૃત્યુ પામેલા પણ મળી આવ્યા હતા. જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે કેટલીક જીપ ડાલા ગાડીઓમાં મોટા પ્રમાણમાં ઘેટાં-બકરાંને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ અજાપુરા નજીક આ ગાડીઓને રોકાવી હતી અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે, ચાર જીપ ડાલામાં ક્ષમતા કરતા અનેક ગણા વધુ ઘેટાં-બકરાં ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. પશુઓ માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા ન હોવાથી અનેક પશુઓ હાલાકી ભોગવી રહ્યા હતા અને કેટલાક મૃત્યુ પામેલા પણ મળી આવ્યા હતા.ડીસા તાલુકા પોલીસે તમામ ઘેટાં-બકરાંને રેસ્ક્યુ કરી રાજપુર કાંટ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પશુ ક્રૂરતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.


