પંજાબના અમૃતસરના જંડિયાલા ગુરુમાં વોર્ડ નંબર 2 ના અકાલી દળના કાઉન્સિલરની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમૃતસરના છહેરતા સાહિબમાં ગોળીબાર થયો છે. મોટરસાઇકલ પર સવાર બે હુમલાખોરોએ અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહ બ્રાહ્મણ પર ગોળીબાર કર્યો હતો.
અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહ બ્રાહ્મણને ત્રણથી ચાર ગોળીઓ વાગી હતી. હોસ્પિટલ લઈ જવામાં આવેલા કાઉન્સિલરને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા. તેમાંથી એકે મોટરસાયકલ ચાલુ રાખી, જ્યારે બીજાએ કાઉન્સિલર પર ગોળીબાર કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
આ બાબતે એડીસીપી હરપાલ સિંહ રંધાવાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘જ્યારે હરજિંદર સિંહ જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોને લઈને એક મોટરસાઇકલ તેમની પાસે આવી અને ગોળીબાર કર્યો.’ હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું હતું કે, ‘તેમના ભાઈ અને સાળાના મતે, હુમલાખોરો એ જ લોકો હતા જેમણે અગાઉ તેમના ઘર પર ગોળીબાર કર્યો હતો અને તેમને ધમકી આપી હતી.
અમૃતસર પોલીસે જણાવ્યું હતું કે હરજિંદર સિંહ હત્યા કેસમાં ત્રણ લોકોની ઓળખ થઈ ગઈ છે. ઘટનામાં વપરાયેલ વાહનની પણ ઓળખ થઈ ગઈ છે. હરજિંદર સિંહની હત્યામાં સંડોવાયેલા કૃષ્ણા ગેંગના બે શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. બે પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ મળી આવ્યા છે. બંને શૂટરોની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા અમિત, ગોપી અને કરણ કિડાની શોધ હજુ પણ ચાલુ છે.

