(જી.એન.એસ) તા. 18
હૈદરાબાદ,
હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમીનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હોવાની આશંકા છે. તેમજ 10થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.
રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઉપયોગ ધરાવતી એક ઇમારતમાં આગ લાગવાની ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે બની હતી. જેમાં મોટાભાગના રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતાં. આગ ત્રણ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના કોમર્શિયલ ભાગમાં આવેલા જ્વેલરી સ્ટોરમાંથી શરૂ થઈ હતી, બાદમાં આખી ઈમારતમાં આગ ફેલાઈ હતી. ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી ઘણા લોકોના મોત નીપજ્યા હતાં.
આગની જાણ થતાં 11 ફાયર બ્રિગેડની ગાડીઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે. લંગર હાઉસ, મોગલપુરા, ગૌલગુડા, રાજેન્દ્ર નગર, ગાંધી આઉટપોસ્ટ, અને સાલારજંગ મ્યુઝિયમ સ્ટેશનોમાંથી ફાયરબ્રિગેડ પહોંચી હતી. આ સિવાય બ્રોન્ટો સ્કાયલિફ્ટ, 3 વોટર ટેન્ડર અને એફ ફાયર ફાઈટિંગ રોબોટની મદદ લેવામાં આવી હતી.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આગની ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, નિર્દોષ લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. ઘટનાસ્થળે હાજર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના ધારાસભ્યએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો અનુસાર, લગભગ 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી એક સત્તાવાર પ્રકાશન અનુસાર, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ આગની ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. દરેક મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અને રાજ્યના BJP ચીફ જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે આગ એક પરિવારની માલિકીની મોતીની દુકાનમાં લાગી હતી. તેમનું ઘર દુકાનની ઉપરના ફ્લોર પર હતું. આ દુર્ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા છે… હું કોઈને દોષી ઠેરવી રહ્યો નથી. પોલીસ, મ્યુનિસિપલ, ફાયર અને વીજળી વિભાગોને મજબૂત બનાવવા જોઈએ. અહી ફાયર વિભાગ પાસે પુરતા સાધનો નથી. પરિવારે મને કહ્યું કે સવારે 7:30 વાગ્યા સુધી ફાયર એન્જિન પાસે પૂરતા સાધનો નહોતા. રાજ્ય સરકારે ફાયર વિભાગને વધુ ભંડોળ ફાળવવું જોઈએ. પ્રધાનમંત્રી સાથે વાત કર્યા પછી, હું મૃતકોના પરિવારો માટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય સહાય માંગીશ.



