શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે કોમેડિયન કુણાલ કામરાને ધરપકડથી રક્ષણ આપ્યું હતું પરંતુ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ‘દેશદ્રોહી’ ટિપ્પણી કરવા બદલ FIR સંદર્ભે તપાસ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.
કામરાએ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.
જસ્ટિસ સારંગ કોટવાલ અને એસએમ મોડકની બેન્ચે એમ પણ કહ્યું હતું કે જો પોલીસ કામરાની પૂછપરછ કરવા માંગતી હોય, તો તેમણે ચેન્નાઈમાં જ કરવી પડશે. કામરા તમિલનાડુના રહેવાસી છે.
ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં અરજદાર (કામરા)ની ધરપકડ કરવામાં આવશે નહીં. તપાસ ચાલુ રાખી શકાય છે. જો કામરાનું નિવેદન નોંધવું હોય, તો તે અગાઉથી સૂચના આપ્યા પછી ચેન્નાઈમાં જ કરી શકાય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
હાઈકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે જો કામરાની અરજી પેન્ડિંગ રહે તે દરમિયાન પોલીસ ચાર્જશીટ દાખલ કરે છે, તો ટ્રાયલ કોર્ટ હાસ્ય કલાકાર સામે કાર્યવાહી કરશે નહીં.
16 એપ્રિલના રોજ, કોર્ટે કામરાને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. હવે તેને કાયમી બનાવવામાં આવ્યું છે.
શું છે મામલો?
કામરાએ તેમના સ્ટેન્ડ-અપ શો નયા ભારત ના એક પ્રદર્શન દરમિયાન એકનાથ શિંદેને ‘ગદ્દર’ તરીકે ઓળખાવ્યા હોવાનો આરોપ છે. આ પેરોડીને 2022 માં શિંદેના બળવાના સંદર્ભ તરીકે જોવામાં આવી હતી, જેના કારણે શિવસેનામાં વિભાજન થયું હતું અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર પડી ભાંગી હતી.

