પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાની ભૂગર્ભ શાખા ની બેદરકારીને કારણે અવારનવાર ભૂગર્ભ ગટરની લાઈનો ચોક અપ બનવાની સમસ્યાઓ સર્જાતી હોય છે.જેના કારણે ભૂગૅભ ગટરના દૂષિત પાણી માર્ગો પર રેલાતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિત વિસ્તારના રહીશો અને વેપારીઓને અનેક યાતના ભોગવવાની સાથે તેઓમા રોગચાળો ફેલાય તેવી ભીતી ઉભી થતી હોય છે.
બુધવારની વહેલી સવારે પાટણ શહેરના મુખ્ય વિસ્તાર ગણાતા જુનાગંજ વિસ્તારના માગૅ ભૂગર્ભ ગટર લાઇન ચોક બનતા વિસ્તારના માર્ગો પર અસહ્ય દુર્ગંધ યુક્ત ભૂગર્ભના પાણી ફરી વળતા માર્ગ પરથી પસાર થતા લોકોને અનેક યાતનાઓ ભોગવી પડી હતી.તો સવાર સવારમાં જ આ વિસ્તારના વેપારીઓને આવા દૂષિત પાણી માંથી પસાર થવાની ફરજ પડતાં તેઓએ પાલિકાની ભૂગર્ભ શાખા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી આ ચોક્અપ બનેલી ભૂગર્ભ ગટર લાઈનોનું પાલિકાની ભૂગર્ભ શાખા દ્વારા જેટિંગ મશીન દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.

