ભારે વાહનોની અવર જવર ધરાવતા બ્રિજ પર ગાબડા પડતા અકસ્માતની ભીતિ
તંત્ર દ્વારા સત્વરે બ્રિજ પર સમારકામ કરાવવાની માંગ ઉઠી; પાલનપુર તાલુકાના જગાણા ગામે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડયા છે. જેને લઇ આ ઉબડ ખાબડ બ્રિજ પર પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ બ્રિજ પર સમારકામ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ફાટક મુકત રેલવે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામા મોટા ભાગની રેલવે ફાટકો પર બ્રિજ બનાવવામાં આવ્યા છે. જેમાં પાલનપુર નજીક આવેલ જગાણા ગામની મધ્યમાં પસાર થતાં ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રીજ પર અંબાજીથી અમદાવાદ તરફ જતા વાહનો તેમજ બનાસ ડેરીના દૂધના ટેન્કરો રાત દિવસ દોડતા હોય છે. પણ હાલમાં આ બ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડ્યા છે. જોકે ગાબડાઓને લઇ ઉબડ ખાબડ બનેલા બ્રિજ પરના માર્ગ પર પસાર થતા વાહન ચાલકોમાં સતત અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે બ્રિજ પરના ગાબડા કોઈ જાનહાની સર્જે તે પહેલા સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.


