વાવાઝોડું મોડી સાંજે અથવા રાતે તામિલનાડુ-પુડુચેરીને પાર કરશે, 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાન નિવારે ઝડપ પકડી છે. ચેન્નઈમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એ છે કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પૂર્વ સીએમ કરુણાનિધિના ઘરમાં પણ પાણી ભરાયાં છે અને એનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. હવામાન વિભાગે નિવાર ચક્રવાત એક જોખમી સાઈક્લોનમાં ફેરવાઈ શકે છે એની શક્યતાઓ રજૂ કરી છે.

ચેન્નઈના સાઈક્લોન વોર્નિંગ સેન્ટરના જણાવ્યા પ્રમાણે, નિવાર સાઈક્લોન હાલ ચેન્નઈથી 350 કિમી દૂર દક્ષિણ-પૂર્વમાં છે. એ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ મોડી સાંજે અથવા રાતે કરાઈકલ (આંધ્રપ્રદેશ) અને મહાબલીપુરમ (તામિલનાડુ)ને ક્રોસ કરશે. સાઈક્લોન અહીંથી પસાર થતી વખતે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ તોફાનનો સામનો કરવા માટે તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં 1200 રેસ્ક્યૂ ટ્રૂપર્સ તહેનાત કરાયા છે. એવા 800 ટ્રૂપર્સ સ્ટેન્ડબાય રખાયા છે. રેલવેએ 12 અપડાઉન ટ્રેન રદ કરી છે.

નિવારમુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તામિલનાડુ અને પુડુચેરીના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મોદીએ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખેસડવાની વાત પર ભાર આપ્યો હતો. મોદીએ બંને સીએમને શક્ય એટલી મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

IMD દિલ્હીના વૈજ્ઞાનિક આરકે જેનામણિએ કહ્યું છે કે નિવાર ચક્રવાત મંગળવારે બપોરે ચેન્નઈના દક્ષિણ-પશ્ચિમમાં 50 કિલોમીટરના અંતરે હતું. એ પશ્ચિમ તરફ વધી રહ્યું છે. એ તામિલનાડુ તટ તરફ આગળ વધશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પુડુચેરીના તટથી બુધવારે સાંજે 5 વાગે અથડાશે. એમાં વધુ ઝડપ આવવાની શક્યતા છે.

IMD ચેન્નઈના વૈજ્ઞાનિક એસ. બાલાચંદ્રને કહ્યું- ચક્રવાતી વાવાઝોડું નિવાર બુધવાર સાંજ સુધીમાં પુડુચેરીના કરાઈકલ અને મમલ્લાપુરમ પહોંચશે. વાવાઝોડાની અસરથી તામિલનાડુમાં 27 નવેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે.

કોસ્ટ ગાર્ડનાં 8 શિપ, 2 એરક્રાફ્ટ તહેનાત વિનાશક તોફાન ‘નિવાર’ને લીધે બંગાળની ખાડીની દક્ષિણ-પૂર્વ દિશાએ તામિલનાડુ અને પુડુચેરી તટની નજીક કોસ્ટગાર્ડનાં 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરાયાં છે. એના દ્વારા મર્ચન્ટ શિપ અને માછલી પકડનારી બોટને તોફાનની ચેતવણી અપાઈ રહી છે. એનડીઆરએફની ટીમો લોકોને ખરાબ હવામાનથી બચવાના ઉપાયો પણ જણાવી રહી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડીજી એસ. એન. પ્રધાને કહ્યું હતું કે નિવાર તોફાનને ધ્યાને લઈને તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં કોસ્ટ ગાર્ડની 12 ટીમે તહેનાત કરાઈ છે. આ રાજ્યોમાં 18 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

તોફાનને કારણે તામિલનાડુ, પુડુચેરીની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં વધુ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ માટે ચેતવણી જારી કરી છે. 24, 25 અને 26 નવેમ્બરે અહીં વરસાદનું અનુમાન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.