મહિલાઓ દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવા પાલિકામાં ઉગ્ર રજૂઆત; પાલનપુરમા માનસરોવર તળાવમાં જતુ શહેરનું ગંદુ પાણી કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ જામબાઈની વાડીમાં ભરાઈ રહેતા અહી ગંદા પાણીનું સરોવર ભરાતા લોકો રોષે ભરાયા છે. આ રહેણાંક વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી હોઇ સ્થાનિક મહિલાઓ પાલિકામાં દોડી આવી પ્રમુખને રજૂઆત કરી પંદર દિવસમાં પાણીનો નિકાલ કરવા અલ્ટીમેટમ અપાયું હતું અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી હતી.
પાલનપુર શહેરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવમાં અગાઉ ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવતુ હતુ.જ્યા હાલ વિકાસનું કામ ચાલી રહ્યું હોઇ ગટરનું પાણી બંધ કરાયું હતું. જેને લઇ આ દૂષિત પાણી કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ જામબાઇની વાડીમાં ભરાતા અહી ગંદા પાણીનું સરોવર ભરાતા ચારેય તરફ ગંદકીથી દુર્ગધ અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે પાલિકા દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવામાં ન આવતા ત્રાહિમામ પોકારી ઉઠેલી સ્થાનિક મહિલાઓ નગરપાલિકામાં દોડી આવી હતી અને પાલિકા પ્રમુખને ગંદા પાણીનો નિકાલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી અને પંદર દિવસમાં પાણીનો નિકાલ નહી કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

