આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ કબૂતર બન્યા: ઉત્તરાયણ એટલે પતંગ રસિકોનું પર્વ. જોકે, પતંગ રસિકો વચ્ચેના આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ અબોલ પક્ષીઓ બનતા હોય છે. ત્યારે પાલનપુર ખાતે ઉત્તરાયણ પર્વને લઈને શહેરમાં 4 પક્ષી સારવાર કેમ્પ શરૂ કરાયા હતા. જ્યાં 100 જેટલા ઘાયલ પક્ષીઓને જીવતદાન આપવામાં આવ્યું હતું.ઉત્તરાયણ નિમિત્તે કામધેનુ યુનિવર્સીટી સરદાર કૃષિનગર અને વન વિભાગના સંયુકત ઉપક્રમે પાલનપુરમાં વિવિધ જગ્યાએ પક્ષી સારવાર કેમ્પ શરૂ કરાયા હતા. જેમાં પતંગ ની દોરીથી ઘવાયેલા 100 જેટલા પક્ષીઓને સારવાર આપી જીવતદાન અપાયું હોવાનું વેટનરીયન દત્ત રાવલે જણાવ્યું હતું.
ઉત્તરાયણમાં આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ કબૂતર બન્યા હતા. આ ઉપરાંત હોલો, ટીટોડી, બગલો, પોપટ, સમડી જેવા પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મોટાભાગના પક્ષીઓની પાંખો કપાઈ ગઈ હતી. જેઓને ત્રણ દિવસની સારવાર બાદ મુક્ત કરવામાં આવશે તેવું વેટનરીયન એકતા વ્યાસે જણાવ્યું હતું. આમ, જીવદયાપ્રેમીઓ અને કરુણા અભિયાનને લઈને પાલનપુરમાં 100 જેટલા ઘાયલ પક્ષીઓને નવજીવન મળ્યું હતું.


