લાખણી સહિત જિલ્લામાં વાયરલજન્ય બીમારીઓનો ઉપદ્રવ : સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાયા
લાખણી સહિત જિલ્લામાં વરસાદ ખેંચાઈ ગયો છે પણ સતત વરસાદી માહોલને કારણે વિવિધ પ્રકારની બીમારીઓ ફાટી નીકળી છે. તેથી સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઈ ઉઠ્યા છે.
આ બાબતે લાખણી રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં આમેય વાઈરલ ઈન્ફેકશનની શક્યતા વધુ રહે છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ આવા ચેપથી પ્રભાવિત થઈ શકે છે.જેના કારણે મોટી સંખ્યામાં લોકો વાઇરલ રોગોનો ભોગ બને છે. જેમાં તાવ,ઉલ્ટી અને ઝાડા થવાના વધુ કેસો હોસ્પિટલમાં આવે છે. ગંદુ પાણી અને ખરાબ ખોરાક ખાવાથી ઉલ્ટી અને ઝાડા વધુ થાય છે. તેથી વાસી ખોરાક ટાળી બહારનું નહિ પણ ઘરનું જમો અને ઉકાળેલું પાણી પીવો.
વધુમાં તેમણે ઉમેર્યું કે ડેન્ગ્યુ અને મેલેરિયા ડેન્ગ્યુ એડીસ એજીપ્ટી પ્રજાતિના મચ્છરોના કરડવાથી ફેલાય છે. તેમજ તાવ, ફોલ્લીઓ, માથાનો દુખાવો અને પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો જેવા લક્ષણો છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીનો જીવ પણ જઈ શકે છે. મેલેરિયા વિશે વાત કરીએ તો તે એનોફિલિસ પ્રજાતિના મચ્છરો દ્વારા ફેલાય છે. મેલેરિયા સામાન્ય રીતે તાવ, શરીરમાં દુખાવો, શરદી અને પરસેવો જેવા લક્ષણો દેખાય છે. જો તમે પણ આવા કોઈ લક્ષણો અનુભવો છો, તો રાહ જોયા વિના ડોક્ટર પાસે તપાસ કરાવો.વાઇરલ ઇન્ફેકશનથી ગભરાવાની જરૂર નથી પણ સ્વચ્છતા સાથે તબીબોની સલાહ લેવી જરૂરી છે.