PM મોદીની આજે વાયનાડની મુલાકાત, ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ સર્વે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવશે. રાહત શિબિરોની મુલાકાત લેવા અને અસરગ્રસ્ત લોકોને મળવા ઉપરાંત તે હોસ્પિટલોમાં ઘાયલો અને પીડિતોના પરિવારોને પણ મળશે.
પીએમ મોદી સવારે 11 વાગે કન્નુર પહોંચશે અને ત્યારબાદ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરશે. બપોરે લગભગ 12.15 વાગ્યે, પીએમ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે જ્યાં તેમને બચાવ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન વિશે માહિતી આપવામાં આવશે. વડા પ્રધાન રાહત શિબિરો અને હોસ્પિટલોની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ ભૂસ્ખલન પીડિતોને મળશે. ત્યારબાદ મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં તેમને ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત પહેલાં, કેરળ સરકારની કેબિનેટ પેટા સમિતિએ વિસ્તારની મુલાકાત લેતી કેન્દ્રીય ટીમને મળી હતી અને આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પુનર્વસન અને રાહત કાર્ય માટે રૂ. 2,000 કરોડની સહાયની માંગ કરી હતી. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજીવ કુમારના નેતૃત્વમાં કેન્દ્રીય ટીમે આપત્તિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી. આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમે જણાવ્યું હતું કે વાયનાડ ભૂસ્ખલનની અસર ખૂબ મોટી છે અને તેના વિગતવાર અભ્યાસની જરૂર છે.