સંસદ અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સાંસદે ઉપરાષ્ટ્રપતિને લખ્યો પત્ર
રાજ્યસભામાં CPI(M)ના સાંસદ વી શિવદાસને ચોંકાવનારો દાવો કર્યો છે. સાંસદે જણાવ્યું કે તેમને એક ધમકીભર્યો ફોન આવ્યો છે જેમાં સંસદ અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું છે. રાજ્યસભા સાંસદ શિવદાસને પણ આ સમગ્ર ઘટના અંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પત્ર લખ્યો છે. ચાલો જાણીએ આખો મામલો.
ઉપરાષ્ટ્રપતિ ધનખરને લખેલા પત્રમાં સાંસદે લખ્યું છે કે શીખ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરનાર વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો છે. 21 જુલાઇના રોજ રાત્રે 11.30 વાગ્યે ધમકીભર્યો ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેઓ ખાલિસ્તાની રેફરન્ડમના સંદેશ સાથે સંસદ ભવનથી લાલ કિલ્લા સુધીના વિસ્તારમાં બોમ્બથી હુમલો કરશે.
સાંસદના જણાવ્યા અનુસાર ફોન કરનારે દાવો કર્યો છે કે તે ભારતીય શાસકોની આંખ અને કાન ખોલવા માટે આવું કરશે. ફોન કરનારે શિવદાસનને કહ્યું કે જો તમારે આનો અનુભવ ન કરવો હોય તો ઘરે જ રહો. ફોન કરનારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનું નામ પણ લીધું છે.