![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/સાપુતારા-ઘાટમાં-hed.jpg)
સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી; 22 ઘાયલ, 6ની હાલત ગંભીર
સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. જેમાં સુરતના રહેવાસી સગા ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે 22 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, બસમાં કુલ 66 લોકો સવાર હતા.
સાપુતારાની ઘાટીમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં ગુજરાતનાં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતના સમાચાર મળ્યા બાદ તાત્કાલિક ધોરણે સાપુતારા પોલીસ અને 108 ની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મળતી વિગતો પ્રમાણે સમગ્ર ઘટનામાં કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્થ થયાના સમાચાર પણ સામે આવ્યા છે.
આ અકસ્માત બાબતે સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા છે. આ સાથે સાથે દુઃખની વાત એ છે કે, અકસ્માતમાં બે બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર તમામને બહાર કઢાયા હતા. નોંધનીય છે કે, સાપુતારા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં બે બાળકોના મોત થતા અત્યારે પંથકમાં શોકનો માહોલ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનામાં બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ દીવાલ કૂદીને ખીણમાં ખાબકી હતી. નોંધનીય છે કે, અત્યારે બસને JCB અને ક્રેનનની મદદથી ઘાટમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.