હું ચોરી કરું છું, મારા ઘરમાં કોઈ બીમાર છે; ચોરે ચિઠ્ઠી લખી શિક્ષકનાં મકાનમાં કરી તસ્કરી
શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે તમારા ઘરમાંથી કોઈ ચોરી કરે અને ચોર ચોરીનો માલ પાછો આપવાનું વચન આપે? જી હા આ ચોંકાવનારો કિસ્સો તમિલનાડુના તુતીકોરિનથી સામે આવ્યો છે. નિવૃત શિક્ષકના ઘરે ચોરી થઈ હતી. શિક્ષક દંપતીના ઘરમાંથી ચોર 60 હજાર રૂપિયા અને સોનું ચોરી ગયો હતો. આ પછી શિક્ષકે પોલીસને ચોરીની જાણ કરી હતી. જ્યારે પોલીસ આવી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ચોર ઘરમાં એક ચિઠ્ઠી છોડી ગયો હતો, જેમાં લખેલું હતું કે મારા ઘરમાં કોઈ બીમાર છે અને તેથી પૈસાની જરૂર છે.
તમિલનાડુના તુતીકોરીનથી નિવૃત્ત શિક્ષક અને તેની પત્ની તેમના પુત્ર સાથે ચેન્નાઈ ગયા હતા. તે દરમિયાન કોઈ ચોર તેમના ઘરમાં ઘૂસીને 2 જોડી સોનાની બુટ્ટી, ચાંદીની પાયલ અને 60 હજાર રૂપિયાની ચોરી કરી ગયો હતો. આ પછી જ્યારે શિક્ષક દંપતી ઘરે પહોંચે છે તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેઓ તરત જ પોલીસને ચોરીની જાણ કરે છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘરની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને એક ચિઠ્ઠી મળી છે.
નોટમાં લખી દુઃખ ભરી કહાની…
ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પરિવારના બીમાર સભ્ય માટે મને પૈસાની જરૂર છે, કૃપા કરીને મને માફ કરો. હું તમને એક મહિનામાં પરત કરીશ. મારા ઘરમાં કોઈ બીમાર છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ચોરીની ઘટના ચિથરાઈ સેલ્વિનના ઘરે થઈ હતી. તેઓ અને તેમની પત્ની બંને સરકારી શિક્ષકો રહી ચૂક્યા છે. બંનેને 4 બાળકો છે. મળતી માહિતી મુજબ, શિક્ષક દંપતી 17 જૂને ઘરની સફાઈ માટે નોકરાણીને રાખ્યા બાદ તેમના પુત્રને મળવા ચેન્નાઈ ગયા હતા. તે દરમિયાન ચોરે આ ગુનો કર્યો હતો. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.