સુપ્રીમ નક્કી કરશે કે શાળા અને કોલેજોને ગ્રાહક કાયદો લાગુ પડે?
કોઇ શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટીની સેવાઓમાં કમી વિરુદ્ધ ગ્રાહક સંરક્ષણ કાયદા હેઠળ કેસ દાખલ થઇ શકે કે નહીં તે અંગે સુનવણી માટે સુપ્રીમકોર્ટ તૈયાર થઇ ગઇ છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની 3 જજની બેન્ચે સેવાઓમાં ખામીઓના આરોપ સાથે તમિલનાડુના સલેમ સ્થિત વિનાયક મિશન યુનિ. વિરુદ્ધ મનુ સોલંકી તથા અન્ય વિદ્યાર્થીઓની અરજી સુનવણી માટે ગ્રાહ્ય રાખી છે.
કોર્ટે 15 ઓક્ટોબરના આદેશમાં કહ્યું હતું કે, ‘આ વિષયમાં કોર્ટના જુદા-જુદા વિચાર છે. જેમ કે શૈક્ષણિક સંસ્થા ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, 1986ની જોગવાઇઓના દાયરામાં હશે કે નહીં? તેથી અરજી અંગે વિચારણા જરૂરી છે.’ કોર્ટે કેવિયેટ દાખલ કરનારી યુનિ.ને કહ્યું કે તે 20 જાન્યુ.એ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યૂટ્સ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)ના નિર્ણય વિરુદ્ધ દાખલ આ અરજી મામલે 6 અઠવાડિયામાં જવાબ આપે.
હાઈકોર્ટ અને ગ્રાહક ફોરમ, બંને સંસ્થામાં કેસ દાખલ કરી શકાય છે.
આર્થિક રીતે નબળા વિદ્યાર્થી ગ્રાહક ફોરમમાં જ ફરિયાદ કરે છે. હાઈકોર્ટમાં કેસ કરવો ઘણો મોંઘો હોય છે. વળી, સમય અને પૈસા બંને ઓછા થાય. ઉદાહરણ તરીકે, જો ગાઝિયાબાદમાં વ્યક્તિને ગ્રાહક ફોરમમાં કેસ કરવો હોય તો તે પોતાના શહેરમાં કરી શકે, જ્યારે હાઈકોર્ટમાં કેસ કરવો હોય તો તેમણે લખનઉ કે અલ્લાહાબાદ જવું પડે.
તેને લઈને સુપ્રીમ કોર્ટે પક્ષ અને વિપક્ષ બંને પ્રકારના ચુકાદા આપ્યા છે. ઉદાહરણ તરીકે, અનુપમા કોલેજ ઑફ એન્જિનિયરિંગના વિરુદ્ધ ગુલશન કુમારના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, શિક્ષણ કોઈ વસ્તુ નથી. એટલે સંસ્થાઓને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ લાવી ના શકાય. પરંતુ સુપ્રીમ કોર્ટે જ પી. શ્રીનિવસુલુ વિરુદ્ધ પી. જે. એલેક્ઝાન્ડર કેસમાં કહ્યું હતું કે, શિક્ષણ સંસ્થાઓ પણ ગ્રાહક સુરક્ષા કાયદાને આધીન છે. એટલે આવા અનેક કેસમાં ભ્રમ છે અને એટલે જ નવી વ્યવસ્થાની જરૂર છે.
પહેલા ગ્રાહક ફોરમની સત્તા વધારવી પડશે. હાલ ફોરમના આદેશનું પાલન ના થાય, તો તેઓ ધરપકડનો આદેશ ના આપી શકે. આવા મામલામાં આદેશનું પાલન ના થાય તો ફરિયાદીએ હાઈકોર્ટ જ જવું પડે છે.