![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/ગુજરાત-સરકાર-અને-ધોળકિયા-hed.jpg)
માતૃતીર્થ સિધ્ધપુર ખાતે નિર્માણાધિન સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લેતા મુખ્યમંત્રી
ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના પ્રયાસોથી સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરી નિહાળી: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સામેના પટમાં નિર્માણ થઈ રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની રવિવારે મુલાકાત લીધી હતી.તેઓએ સરસ્વતી નદીને પુનઃજીવિત કરી જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની તલસ્પર્શી વિગતો સવજીભાઈ ધોળકિયા તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી.
સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી માટે એક કિલોમીટર લંબાઈ અને અડધો કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ૧૩ માર્ચ, ૨૦૨૪ ના રોજ શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં અંદાજિત ૨૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીના સમયગાળામાં ૩ લાખ ૨૦ હજાર ઘનમીટર જેટલું કામ થયું છે. આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૪ ના અંત સુધીમાં પૂર્ણ થશે. સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે તર્પણ કુંડ બનાવવામાં આવશે. જેનાથી માતૃતીર્થ સિધ્ધપુર આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો થશે.