![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/ram-1.png)
અયોધ્યામાં ભારે વરસાદ બાદ રામપથ પર પડ્યા ગાબડા, 3 PWD એન્જિનિયરને કર્યા સસ્પેન્ડ
અયોધ્યામાં રામ મંદિર બન્યાને થોડા મહિના જ થયા છે. શુક્રવારે થયેલા વરસાદે અયોધ્યાના વિકાસને લઈને કરવામાં આવેલા તમામ દાવાઓને બરબાદ કરી દીધા છે. વરસાદ બાદ અયોધ્યાના રામપથમાં મસ મોટા ખાડા પડી ગયા છે. જે બાદ યોગી સરકાર પર સવાલો ઉઠવા લાગ્યા હતા. આ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PWDના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, AE અને JEને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ વહેલી તકે માંગવામાં આવ્યો છે.
અયોધ્યામાં રામપથના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યકારી ઈજનેર ધ્રુવ અગ્રવાલ, સહાયક ઈજનેર અનુજ દેશવાલ અને જુનિયર એન્જિનિયર પ્રભાત પાંડેને સસ્પેન્ડ કરી દીધા છે. રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા સમય પહેલા જ રામપથનું નિર્માણ પૂર્ણ થયું હતું. અયોધ્યા પહોંચેલા મોટી સંખ્યામાં રામ ભક્તોની સુવિધા માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદને કારણે 13 કિલોમીટર લાંબા રામપથ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે.