રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુઃખ
અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું 90 વર્ષની વયે અવસાન થયું છે. આચાર્ય લક્ષ્મીકાંતે શનિવારે સવારે 6:45 કલાકે વારાણસીમાં અંતિમ શ્વાસ લીધા હતા. આચાર્ય લક્ષ્મીકાંતના પાર્થિવ દેહનો મણિકર્ણિકા ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શનિવારે સવારે આચાર્ય લક્ષ્મીકાંતના નિધનના સમાચાર મળ્યા બાદ કાશી અને અયોધ્યાના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાન્યુઆરી મહિનામાં લક્ષ્મીકાંત દીક્ષિતે અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના માર્ગદર્શન અને મંત્રોચ્ચાર હેઠળ પૂજા કરવામાં આવી હતી.
સીએમ યોગી આદિત્યનાથે આચાર્ય લક્ષ્મીકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું આચાર્યજીને સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિમાં તેમના યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનો પરિવાર કાશીમાં ઘણી પેઢીઓથી રહે છે. લક્ષ્મીકાંત વારાણસીના મીરઘાટ સ્થિત સંગવેદ કોલેજના વરિષ્ઠ શિક્ષક હતા. આ કોલેજની સ્થાપના કાશી રાજાની મદદથી કરવામાં આવી હતી.
Tags india lakshmikant Rakhewal