ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર ભારતીય રૂપિયામાં શરૂ થશે
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતમાં એનડીએ સરકાર બન્યા બાદ ભારતની મુલાકાત લેનાર પ્રથમ વિદેશી મહેમાન બન્યા છે. શેખ હસીના શુક્રવારે (21 જૂન) ભારતની બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે શેખ હસીનાનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષમાં પીએમ મોદીની શેખ હસીના સાથે આ 10મી મુલાકાત છે. શનિવારે (22 જૂન) દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની હાજરીમાં એમઓયુની આપ-લે કરવામાં આવી હતી.
બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘બાંગ્લાદેશ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી, એક્ટ ઈસ્ટ પોલિસી, વિઝન સાગર અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં અમને સહકાર આપે છે. છેલ્લા એક વર્ષમાં અમે સાથે મળીને અનેક મહત્વપૂર્ણ જન કલ્યાણના પ્રોજેક્ટ પૂરા કર્યા છે.
દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ભારતીય રૂપિયામાં વેપાર શરૂ થયો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદી પર વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ સફળતાપૂર્વક શરૂ થઈ ગઈ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ક્રોસ બોર્ડર ફ્રેન્ડશિપ પાઈપલાઈન પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય ગ્રીડ દ્વારા નેપાળથી બાંગ્લાદેશમાં વીજળીની નિકાસ ઉર્જા ક્ષેત્રમાં પેટા-પ્રાદેશિક સહયોગનું પ્રથમ ઉદાહરણ બની ગયું છે. માત્ર એક વર્ષમાં આટલા બધા ક્ષેત્રોમાં આટલી મોટી પહેલનો અમલ આપણા સંબંધોની ઝડપ અને સ્કેલ દર્શાવે છે.