આંધ્રપ્રદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ, ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત બન્યા CM, પીએમ મોદી અને અમિત શાહ પણ રહ્યા હાજર
TDP સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે ચંદ્રાબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ચંદ્રબાબુ નાયડુની સાથે પવન કલ્યાણે પણ શપથ લીધા છે. તેઓ નવી સરકારમાં ડેપ્યુટી સીએમ પદ સંભાળશે. ચંદ્રબાબુ નાયડુ અગાઉ ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર છે. ચંદ્રાબાબુ નાયડુના શપથગ્રહણ બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા.
25 સભ્યોની મંત્રી પરિષદ
ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં કુલ 25 સભ્યોની મંત્રી પરિષદ શપથ લઈ રહી છે. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ એનડીએના નેતૃત્વવાળી સરકારમાં ડેપ્યુટી સીએમ હશે. મંત્રીઓની યાદીમાં જનસેના પાર્ટીના ત્રણ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મંત્રીનો સમાવેશ થાય છે. બાકીના તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે ચંદ્રાબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ સ્ટેજ પર હાજર છે.
મંત્રી પરિષદમાં ચંદ્રબાબુ નાયડુના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, ટીડીપીના આંધ્ર પ્રદેશ એકમના પ્રમુખ કે અચન્નાયડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નડેન્દલા મનોહરનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, અન્ય કેન્દ્રીય પ્રધાનો, NDA સહયોગી પક્ષોના નેતાઓ અને કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર છે. નાયડુએ મંગળવારે મોડી રાત્રે અમરાવતીમાં તેમના નિવાસસ્થાને અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક બાદ તેમના મંત્રી પરિષદને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
નાયડુની કેબિનેટમાં 17 નવા ચહેરા
નાયડુની મંત્રી પરિષદમાં 17 નવા ચહેરા છે. બાકીના અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે. ટીડીપી પ્રમુખે એક પદ ખાલી રાખ્યું છે. મંત્રી પરિષદમાં ત્રણ મહિલાઓ છે. વરિષ્ઠ નેતા એન મોહમ્મદ ફારૂક મંત્રી પરિષદમાં એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. મંત્રીઓની યાદીમાં પછાત વર્ગના આઠ, અનુસૂચિત જાતિના ત્રણ અને અનુસૂચિત જનજાતિમાંથી એકનો સમાવેશ થાય છે. નાયડુએ કમ્મા અને કાપુ સમુદાયમાંથી ચાર-ચાર મંત્રીઓને સામેલ કર્યા છે. રેડ્ડીમાંથી ત્રણ અને વૈશ્ય સમુદાયના એકને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
Tags chandrababu india Rakhewal