ચેતજો! 24 કલાકમાં ગરમીએ લીધો 14 લોકોનો જીવ, ભોજપુરમાં થયા સૌથી વધુ મોત
ઉત્તર ભારતમાં ગરમીનું મોજુ સતત તબાહી મચાવી રહ્યું છે. બિહારમાં શુક્રવારે ગરમીના કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બિહારમાં છેલ્લા 24 કલાકમાં 10 મતદાન કર્મચારીઓ સહિત 14 લોકોના મોત ગરમીના કારણે થયા છે. અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ મૃત્યુ ભોજપુરમાં થયા છે, જ્યાં ચૂંટણી ફરજ પર તૈનાત પાંચ અધિકારીઓ હીટસ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા હતા. ત્રણ ચૂંટણી અધિકારીઓ રોહતાસમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે કૈમુર અને ઔરંગાબાદ જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું, એમ નિવેદનમાં જણાવાયું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્યમાં ગરમીના કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે. કેટલાક સ્થાનિક અહેવાલોમાં આ આંકડો વધારે છે. રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. હીટસ્ટ્રોકના કારણે 300 થી વધુ બીમાર પડ્યા હતા. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
રાજ્યના વિવિધ ભાગોમાં અન્ય ચાર લોકોના મોત થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોના પરિવારજનોને એક્સ-ગ્રેશિયાની રકમ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અનેક સ્થળોએ તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી ગયો હોવાથી રાજ્ય આકરી ગરમીની લપેટમાં છે. ગુરુવારે 47.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે બક્સર રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું. કાળઝાળ ગરમીને કારણે તમામ શાળાઓ, કોચિંગ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રો 8 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.