![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ઘોડા-છૂટી-ગયા-બાદ-તબેલાને-hed.jpg)
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવાનો પ્રયાસ: પાલનપુરમાં ફાયર સેફટી ને લઇ મેળો બંધ કરાયો
ફાયર સેફટી કે એન.ઓ.સી. વિના ગેમ ઝોન ચાલી રહ્યા હોવાની રાવ વચ્ચે તપાસ: પાલનપુર આબુ હાઇવે પર આવેલ બિહારી બાગ નજીક ચાલતાં મેળાને ફાયર વિભાગ દ્વારા બંધ કરવા સૂચના આપવામાં આવી હતી જેના પગલે શનિવારે રાત્રે 9:00 વાગ્યા બાદ મેળાને બંધ કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન માં ભીષણ આગના પગલે 33 ઉપરાંત વ્યક્તિઓના આગમાં ભુંજાઇ જવાથી મોત નિપજ્યા હતા. જેના પગલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે ત્યારે પાલનપુર શહેરમાં નગરપાલિકાના ફાયર સેફટી વિભાગ દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બિહારી બાગ નજીક ચાલતા આનંદ મેળામાં તપાસ કરતા ફાયર સેફટી ના સાધનો ન જણાઈ આવતા તેને હાલ પૂરતો મેળો ચાલુ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી સંચાલક દ્વારા શનિવારે રાત્રે 9:00 વાગ્યા બાદ મેળો બંધ કરવામાં આવ્યો હતો. તેમજ આગળ ફાયર સેફ્ટી ને વ્યવસ્થા ઉભી કર્યા બાદ મેળો ચાલુ કરવા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત પાલનપુરમાં ન્યુ બસપોર્ટ ખાતે આવેલ એક ગેમ ઝોન પર નગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ તે ગેમ ઝોનનો સંચાલક તેની ઓફિસની તાળા મારી ફરાર થઈ ગયો હતો. જેથી તેનો ટેલીફોનિક સંપર્ક કરી તેની પાસે ફાયર સેફ્ટી અંગેના સાધનો લગાવેલા છે કે તે અંગે પૂછપરછ હાથ ધરાઈ હતી. જ્યારે આવા સંચાલકનો સંપર્ક કરતા આ બાબતે સંચાલકે ત્રણ કોમ્પ્યુટર ગેમ રમવા માટે મૂકવામાં આવ્યા છે. ફાયર સેફટીની એનઓસી લીધી નથી. જેની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું.