![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/રાજસ્થાનમાં-તાપમાન-hed.jpg)
રાજસ્થાનમાં તાપમાન ૪૭ ડીગ્રીને પાર, 8 લોકોના મોત
બિકાનેર/ઉદયપુર/જયપુર, આ વર્ષે ઉનાળાની ભયંકર ગરમી હવે જીવલેણ બની રહી છે તેવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં રાજસ્થાન ના બિકાનેરમાં યુદ્ધ અભ્યાસ દરમિયાન તબિયત બગડવાને કારણે ભિવાની નિવાસી સૈનિકનું મૃત્યુ થયું હતું. આ ગરમી અને તેને લગતી સમસ્યાઓના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. સરકારી માહિતી અનુસાર રાજસ્થાનમાં ગરમીના કારણે અત્યાર સુધીમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સવારના દસ વાગ્યે બિકાનેર જિલ્લામાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ દયનીય બની હતી. ગુરુવારે ગરમીના કારણે સેનાના એક જવાનનું મોત થયું હતું. બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં યુદ્ધ અભ્યાસ દરમિયાન હરિયાણાના ભિવાનીમાં રહેતા જવાન સંદીપ કુમારની તબિયત લથડી હતી. જવાનને મહાજન સીએચસીમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેને સુરતગઢ રીફર કરવામાં આવ્યા હતા. સુરતગઢની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાનનું મોત થયું હતું.
ત્યારે બીજી તરફ, જાલોરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 47.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લામાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી હતી. છેલ્લા ચાર દિવસથી જાલોરમાં દિવસનું તાપમાન 47 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. જાલોરમાં આકરી ગરમીના કારણે અત્યાર સુધીમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા હતા. જાલોર રેલ્વે સ્ટેશનથી બે લોકોને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમનું મૃત્યુ થયું હતું. નરપડા ગામના રહેવાસી વિષ્ણુ દાનનો પુત્ર સૂરજદાન જાલોર રેલવે સ્ટેશને ટ્રેન દ્વારા જાલોર પહોંચ્યો હતો. ટ્રેનમાંથી ઉતર્યા બાદ સ્ટેશન પર જ ચક્કર આવવાને કારણે તે નીચે પડી ગયો હતો. લોકો તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બીજા યુવકની ઓળખ ગુજરાતના રહેવાસી સોહનરામ તરીકે થઈ હતી જે જાલોરમાં નોકરી કરે છે. તે રેલવે સ્ટેશન પર અચાનક બેભાન થઈને પડી ગયો.
જાલોર પાસેના કેશવાના રોડ પર સ્થિત સફ્રાના રહેવાસી લુમ્બારામ ગર્ગની પત્ની કમલા દેવી ઘરકામ કરતી વખતે અચાનક બીમાર પડી ગઈ. તે બેભાન થઈ ગઈ હતી અને તેના પરિવારના સભ્યો તેને જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આહોર સબડિવિઝન વિસ્તારના સરકારી ગામના ઉકારામ પ્રજાપતના પુત્ર પોપટલાલનું અવસાન થયું હતું. જિલ્લામાં કાળઝાળ ગરમીને જોતા જિલ્લા વહીવટી તંત્રએ હીટ વેવની એડવાઈઝરી જાહેર કરી છે. 26 મે સુધી તાપમાન 47 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. સામાન્ય લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના ઘરની બહાર નીકળવાનું ઓછું કરે અને વધુ છાસ અને પાણીનું સેવન કરે.