![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/પાલનપુર-ગેસ-ગળતરની-ઘટનામાં-hed.jpg)
પાલનપુર ગેસ ગળતરની ઘટનામાં : 34 દર્દીઓને રજા અપાઈ,14 દર્દી સારવાર હેઠળ
કલાકો વીતવા છતાં રહસ્ય અકબંધ: તંત્ર નિશ્ચિત તારણ તારવવામાં નિષ્ફળ પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં એક ભંગારીના ત્યાં કોઈ કારણસર ગેસ ગળતરની અસર થઈ હતી. જેના પગલે કુલ 82 જેટલા વ્યક્તિઓને તેની અસર થતા 108 ની મદદથી તમામને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં 34 દર્દીઓ ને સારવાર આપી રજા અપાઈ હતી. તેમજ 14 દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. જોકે, ગેસ ગળતરની ઘટનાને કલાકો વીતવા છતાં અનુમાનોમાં વ્યસ્ત તંત્ર નિશ્ચિત તારણ તારવવામાં નિષ્ફળ રહેતા ગેસ ગળતરની ઘટનાનું રહસ્ય અકબંધ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માલણ દરવાજા ખાતે એક ભંગારીનું ગોડાઉન આવેલું છે. તેની બાજુમાં જ આવાસ યોજના ના મકાનો આવેલા છે. આ ભંગાર ના ગોડાઉનમાં કહેવાય છે કે, કોઈ ધડાકો થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. જેથી આવાસ યોજનામાં ફાળવેલા મકાનોમાં રહેતા લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે ગેસ લીકેજ થતા એક બાદ એક વ્યક્તિને ગૂંગળામણની અસર થવા લાગી હતી. જેથી 108ની મદદથી તમામ 82 જેટલા વ્યક્તિઓને પાલનપુર ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક દર્દીની હાલત ગંભીર હતી. જ્યારે અન્ય દર્દીઓને ડોક્ટરની ટીમો દ્વારા સારવાર ચાલુ રાખવામાં આવી હતી.