રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો : ટોળાને વિખેરવા 120થી વધુ ટિયરગેસના શેલ છોડ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે આજે સવારે અકસ્માતના બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. બ્લોક ખોલાવવા ગયેલા પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો અને પોલીસ વાહન સળગાવી દીધું હતું. જેને લઈને જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયું હતું અને ટોળાને વિખેરવા 120થી વધારે ટિયરગેસના શેલ છોડ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ગામડી પાસે શુક્રવારે સવારે દૂધ ભરાવવા જતા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નં-48 બ્લોક કર્યો હતો. જોત જોતામાં ગામડીથી હિંમતનગર તરફ અને ગામડીથી ગાંભોઈ તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી જ્યાં રોષે ભરાયેલો ટોળું વિફર્યો હતો અને પોલીસ વાહન ટોળાએ સળગાવી દીધું હતું.
ટોળું આક્રમક બન્યું હતું જેને લઈને જિલ્લા પોલીસ વડા, ડીવાય એસપી, એલસીબી, એસઓજી સહીત જિલ્લાની પોલીસ પહોંચી રહી હતી ત્યાં જ પોલીસ પર આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. તો સામે પોલીસે પણ ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
બનાવને લઈને દોઢ કલાકથી વધુ સમય સુધીનો ટ્રાફિક જામ થયો છે. જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ટ કરાયો છે. જેમાં અમદાવાદથી ઉદેપુર તરફ જતા વાહનોને ગાંભોઈ થઈને તલોદ થઈને મજરા તરફ અને હિંમતનગરથી રણાસણ થઈને ગાંભોઈ થઈને ઉદેપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.