![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ડીસા-શહેરમાં-લીલાં-ઘાસચારાના-હેડ.jpg)
ડીસા શહેરમાં લીલાં ઘાસચારાના વેચાણ પર નગરપાલિકા ની તવાઈ
રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે લીલાં ઘાસચારાનું વેચાણ બંઘ કરાવવું જરૂરી : પાલિકા લીલા ઘાસચારાનું વેચાણ થતું હોઈ પશુ માલિકો પશુઓને છુટા છોડી રહ્યા છે: ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં રખડતાં પશુઓનાં કારણે અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા થોડા સમય પહેલાં રખડતાં પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ પાંજરાપોળ – ગૌશાળા સંચાલકો દ્વારા પશુઓને સ્વીકારવાનો ઈનકાર કરાતાં પાલિકા દ્વારા રખડતાં પશુઓને પકડવાની કામગીરી બંઘ કરાઈ હતી.
જ્યારે ડીસા શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ થતું હોઈ પશુ માલિકો પશુઓને જાહેર માર્ગ પર છોડી રહ્યા છે અને શહેરીજનોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સુચનાથી આજથી શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ બંઘ કરાવવા માટે તવાઈ બોલાવાની શરૂઆત કરવામાં આવી છે આજે સવારથી પાલિકાની સેનિટેશન ટીમ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના રાજ માર્ગો પર નિકળી હતી અને જાહેર માર્ગો પર લીલા ઘાસચારાનું વેચાણ કરતાં લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી ઘાસચારો પણ જપ્ત કરાયો હતો અને ફરીથી લીલા ઘાસચારાનું વેચાણ નહી કરવા માટે કડક સુચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં અનેક ભરચક વિસ્તારમાં લીલા ઘાસચારાનું વેચાણ કરતાં લોકો જાહેરમાં ઘાસ નખાવી પશુઓને ભેગા કરી ઉભા રહેતા હોઈ અનેક રાહદારીઓને પશુઓ અડફેટે લેતાં હોવાની ઘટનાઓ બનવા પામી છે.
ત્યારે પાલિકા મોડેમોડે પણ જાગી છે: અને શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ બંઘ કરાવા માટે કવાયત હાથ ધરી છે ત્યારે ખરેખરમાં રોજબરોજ પાલિકા અને પોલીસ દ્વારા શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ બંઘ કરાવીને પશુઓને શહેરના જાહેરમાર્ગો પર છોડતા પશુ માલિકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી ડીસા શહેરને રખડતાં પશુ મુક્ત શહેર બનાવવામાં આવે તેવી શહેરજનો પણ નમ્ર વિનંતી સાથે અપીલ કરી રહ્યા છે.
પાલિકા અને પોલીસનું સંકલન જરૂરી: થોડા મહીના પહેલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા શહેરમાં રાજ માર્ગો પર લીલા ઘાસચારાનું વેચાણ પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.જેમાં પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન કરાતાં શહેરના રાજ માર્ગો પર ફરીથી લીલા ઘાસચારાનું વેચાણ થવા લાગ્યું હતું.પાલિકા અને પોલીસનું સંકલન ના હોવાથી જાહેરનામું કાગળ પર રહી ગયું હતું ત્યારે પાલિકા દ્વારા ફરીથી લીલા ઘાસચારાનું વેચાણ બંઘ કરાવા માટે કાર્યવાહી હાથ ધરી છે ખરેખર તેમાં સફળતા મળશે ખરી ??