![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/અમે-ગુજરાતમાં-10-થી-વધુ-હેડ.jpg)
અમે ગુજરાતમાં 10 થી વધુ બેઠકો જીતવાની અપેક્ષા રાખી રહ્યાં છીએ: મુકુલ વાસનિક
લોકસભા ચુંટણી માં ભાજપ દ્વારા 25માંથી 25 બેઠકો જીતી લેવામાં આવશે તેવા સર્વે અને આગાહીઓ જોવા મળી રહી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં 4 બેઠકો જીતવાના કરેલા દાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ પહોંચ્યા હતા અને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી આ લોકસભા ચુંટણીમાં 10 સીટો જીતશે.
ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પક્ષના નેતાઓની બેઠક માટે અમદાવાદ પહોંચ્યા હતા. જેઓએ પત્રકારો સાથે વાતચીતમાં મોટા દાવાઓ કર્યા છે. 7 મેના રોજ ગુજરાતમાં 26 લોકસભા બેઠકોમાંથી 25 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતમાં મતદાન ઘટીને 60 ટકાની આસપાસ રહ્યું છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ચૂંટણી પહેલા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ લોકસભામાં કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીને ભારત ગઠબંધનના ભાગરૂપે બે બેઠકો આપી હતી. જેમાં ભાવનગર અને ભરૂચમાં આપના ઉમેદવારોએ પોતાનું ભવિષ્ય દાવ પર લગાવ્યું છે. આપના 2 ધારાસભ્યો સાંસદ બનવાના સપનાં જોઈ રહ્યાં છે. 4 જૂને મત ગણતરી થવાની છે આ દિવસે તમામ આગાહીઓ સાચી ઠરે છે કે ખોટી એ તો બહાર આવી જશે.
“મુકુલ વાસનિકે અમદાવાદમાં મોટા મોટા દાવાઓ કર્યા છે. દેશમાં બધે પરિવર્તનની લહેર જોવા મળી શકે છે. અમે કહેતા આવ્યા છીએ કે જનતાના સમર્થનથી અમે 10થી વધુ બેઠકો જીતીશું . જો અમને આવું પરિણામ મળે તો નવાઈ નહીં. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ અને પરિવર્તનની લહેર દેખાઈ રહી છે. 4 જૂને મત ગણતરીમાં પરિવર્તન દેખાશે કોંગ્રેસને ફાયદો થશે. હાલમાં બીજેપી માટે નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં બીજેપી માટે રોષ હતો જે વોટમાં પરિવર્તીત થયો છે. જનતાનો રોષ એ 4 જૂને પરિણામમાં સાબિત થશે
કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિક 1984માં પહેલીવાર લોકસભામાં ચૂંટાયા ત્યારે તેઓ સંસદના સૌથી યુવા સભ્ય હતા. તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા વાસનિકને ગુજરાતમાં મોકલવાનું પહેલું મોટું કારણ આગામી પાંચ-છ મહિનામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાનું અને પક્ષમાં જૂથવાદ દૂર કરીને લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાનું છે. વાસનિક પોતે વિદ્યાર્થી નેતા હોવા છતાં યુપીએ 2 સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં હવે તેમની સામે ગુજરાતમાં કોંગ્રેસને સત્તા અપાવવાનું કામ છે.