એક યુવતી સહિત 5 ગુજરાતી સામે અમેરિકામાં યુ વિઝા માટે ફેક રોબરી મામલે કેસ નોંધાયો
અમેરિકાના શિકાગોમાં ચાર ગુજરાતીઓ સહિત છ વ્યક્તિઓને સશસ્ત્ર લૂંટ ચલાવવા માટે ફેડરલ કોર્ટ દ્વારા આરોપી બનાવવામાં આવ્યા છે. આ તમામ છ લોકોપર પર આરોપ છે કે શિકાગો, એલ્મવુડ પાર્ક અને લ્યુઇસિયાનામાં રેસ્ટોરન્ટ્સ, ગેસ સ્ટેશનો અને લીકર સ્ટોરમાં થયેલી તબક્કાવાર લૂંટમાં તેઓ સામેલ હતા. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, જે લોકોના નામ સામે આવ્યા છે એમાં પાર્થ નાઈ (26), કેવોંગ યંગ (31) સિવાય ભીખાભાઈ પટેલ (51), નિલેશ પટેલ (32), રવિના પટેલ (23), અને રજનીકુમાર પટેલ (32) ગુજરાતીઓના નામ સામેલ છે. તેઓ વિઝા ફ્રોડ કરવાના ષડયંત્રના આરોપોનો સામનો કરે છે. રવિના પટેલ પર વિઝા અરજીમાં ખોટું નિવેદન આપવાનો આરોપ પણ છે.
આ ઘટનાની વિગત મુજબ યુ વિઝા મેળવવા ઇચ્છતા લોકો માટે એક ચોક્કસ ષડયંત્ર બનાવીને પાર્થ નાઈ અને કેવોંગ યંગ ફેક રોબરીની ગોઠવણ કરી આપતા હતા. આ મામલે ભીખાભાઈ પટેલ, નિલેશ પટેલ, રવિના પટેલ અને રજની કુમાર પટેલના નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે. માહિતી અનુસાર, ચાર મુખ્ય આરોપીઓએ ષડયંત્રનો ભાગ બનવા માટે પાર્થ નાઈને હજારો ડોલર ચૂકવ્યા હતા. ગુજરાતીઓ પર આરોપ છે કે તેઓ આ આખા કાંડમાં સામેલ હતા અને તેમણે ફેક રોબરીના પીડિત બનીને યુ વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો છે. શિકાગોની ફેડરલ કોર્ટમાં તેમના પર લાગેલા આરોપ મુજબ, ભીખાભાઈ પટેલ, નિલેશ પટેલ, રવિના પટેલ અને રજની કુમાર પટેલે પાર્થ નાઈ અને કેવોંગ યંગ સાથે મળીને લૂંટના “પીડિતો” બનવાની ગોઠવણ કરી હતી જેથી તેઓ યુ નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ (યુ-વિઝા) માટે અરજીઓ સબમિટ કરી શકે.
આ કેસમાં આરોપીઓને વિઝા ફ્રોડ કરવાના ષડયંત્રના આરોપમાં ફેડરલ જેલમાં મહત્તમ પાંચ વર્ષની સજા થઈ શકે છે, જ્યારે રવિનાબેન પટેલ વિરુદ્ધ ખોટું નિવેદન આપવાના આરોપમાં નિયમો અનુસાર દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે. પાર્થ નાઈ સહિતના ગુજરાતીઓએ મળીને જે કાવતરું કર્યું, તે માટે તેમણે ડઝનબંધ લૂંટ કરી હતી. આ બધી જ લૂંટ શિકાગો અને આસપાસના વિસ્તારમાં થઈ હતી.
ખાસ વાત એ છે કે, યુ-વિઝા એ વ્યક્તિઓ માટે છે કે જેઓ અમુક ગુનાઓનો ભોગ બન્યા હોય, માનસિક અથવા શારીરિક શોષણ સહન કર્યું હોય અને કાયદા અમલીકરણ અથવા સરકારી અધિકારીઓને તપાસ અથવા કાર્યવાહીમાં મદદ કરી હોય.
આ મામલે ચાર મુખ્ય આરોપીઓએ ફેક રોબરીમાં ભાગ લેવા માટે પાર્થ નાઈને મોટી રકમ ચૂકવી હતી. ફેક લૂંટ દરમિયાન, અપરાધીઓ સશસ્ત્ર લૂંટારુઓ તરીકે આવીને કથિત પીડિતો પાસેથી પૈસા અને સામાનની માંગણી કરતા હતા અને ત્યાંથી ભાગી જતા હતા. પાર્થના જણાવ્યા અનુસાર, કેટલાક કિસ્સાઓમાં લૂંટારુઓ તરીકે આવતા લોકો કથિત પીડિતોને મારતા પણ, જેથી લૂંટ સાચી દેખાઈ શકે. આ પછીથી કથિત પીડિતો સર્ટિફિકેશન મેળવવા માટે સ્થાનિક કાયદાના અમલીકરણને ફોર્મ સબમિટ કરતા કે તેઓ યુ-વિઝા માટે લાયક ઠરેલા ગુનાનો ભોગ બન્યા હતા અને તપાસમાં મદદરૂપ હતા, જેથી તેમને પ્રમાણિત કરવામાં આવે. એ પછી, કેટલાક કથિત પીડિતોએ યુ.એસ. નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓને લૂંટના ભોગ બનેલા કથિત દરજ્જાના અનુમાન મુજબ યુ-વિઝા અરજીઓ સબમિટ કરી હતી.