ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને 7 વખત રાજસ્થાન થી ધારાસભ્ય રહી ચૂકેલા કમલા બેનીવાલનું નિધન
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું 97 વર્ષની ઉમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
કમલા બેનીવાલે રાજસ્થાનમાં ગેહલોત સરકારમાં મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તે કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી હતા. તેઓ ગુજરાતની સાથે ત્રિપુરા, મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં તેઓ ઘણા મહત્વના હોદ્દા પર રહ્યા હતા. તેમનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમનું પ્રાથમિક ભણતર ઝુંઝુનુમાં જ થયું હતું. તેમણે અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ઈતિહાસ વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. કમલા બેનીવાલને સ્વિમિંગ, ઘોડેસવારી અને કળાનો શોખ હતો. તેમણે 11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. 27 વર્ષની વયે 1954માં વિધાનસભાની ચૂંટણી જીતીને તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. અશોક ગેહલોતની સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષણ અને કૃષિ મંત્રાલય સહિત અનેક વિભાગોના મંત્રી રહી ચૂક્યાં છે. તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.