![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/બાજરીના-પાકમાં-ડુંડાઓ-hed.jpg)
બાજરીના પાકમાં ડુંડાઓ ઉપર કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો : દવાનો છંટકાવ કરવા મજબુર
સરહદી વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો જોવા મળ્યો હતો. જેમાં થરાદ પંથકમાં ખાસ કરીને ખેડૂતો ઉનાળામાં બાજરીનું વાવેતર વધારે કરે છે. ત્યારે બાજરીના પાકમાં ડુંડાઓ ઉપર કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો જોવા મળ્યો હતો. જેમાં થરાદ તાલુકાનાં સવપુરા સહિત અનેક ગામોના ખેડૂતોની પાકને આરે આવીને ઉભેલી બાજરીના ડુંડાઓમાં જીવાતનો ઉપદ્રવ વધી જતાં આખરે ખેડૂતો દવાનો છંટકાવ કરવા પણ મજબુર બન્યા હતાં.
આ વખતે અમે સતત કુદરત સામે લાચાર બની ગયાં છીએ. પહેલાં વાવાઝોડું આવ્યું જેના બાદ કમોસમી વરસાદ અને રવિ સિઝનમાં રાયડાના પાકમાં મોલો આવતાં ભારે નુકસાન થયું હતું. જેના બાદ એરંડાના પાકમાં કાતરા જીવાત આવતાં એરંડાના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હતો અને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેના બાદ હવે બાજરીના પાકમાં કાતરા જીવાત આવતાં પચાસ ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે.
વધુ જણાવ્યું હતું કે, મેં મારા ત્રણ એકર જમીનમાં બાજરીનું વાવેતર કરેલું છે અને બાજુમાં મારા ભાઇઓએ પણ વધુ પ્રમાણમાં બાજરીનું વાવેતર કરેલું છે. ત્યારે ડુંડાઓ પર કાતરા આવતાં પચાસ ટકા બાજરીનો પાક નષ્ટ કરી ગયા છે. અમારા કેનાલ પટ્ટાના વિસ્તારમાં ઘણી જગ્યાએ ખેડૂતોના બાજરીના પાકમાં કાતરા આવી ગયા છે. મે મારા ખેતરમાં દવાનો છંટકાવ કર્યો તેમ છતાં કાતરા જીવાતનો ઉદભવ નષ્ટ થતો નથી અને બાજરીના આવતાં દાણાઓ ખાઇ જવાથી ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કુદરતના કોપ સામે સરહદી પંથકના ખેડૂતો લાચાર બની ગયા છે. ખેતીવાડી વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક લઇ બચેલા પાકને કંઇક ઉપાય કરે એવી માગ પણ કરી રહ્યા છે.