કેન્દ્રીય ચૂંટણી પંચનો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ને સણસણતો જવાબ
કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓ વચ્ચે વોટર ટર્નઆઉટના આંકડાઓ રજૂ કરવા સંદર્ભે પાયા વિહોણો આક્ષેપ લગાવ્યો છે. જે સ્વતંત્ર અને નિસ્પક્ષ ચૂંટણી સંચાલનમાં ભ્રમ, ખોટી દિશા અને અવરોધ ઊભા કરવા માટે કરાયા છે. પંચે વધુમાં કહ્યું કે આ પ્રકારના નિવેદનોથી મતદારોની ચૂંટણીમા ભાગીદારી પર નકારાત્મક અસર પડે છે અને રાજ્યોમાં મોટી ચૂંટણી લક્ષી કામગીરી સાથે સંકળાયેલા લોકોના મનોબળ પર અસર પડે છે.
કોંગ્રેસ પ્રમુખને આકરા શબ્દોમા અપાયેલા સણસણતા જવાબમાં કેન્દ્રીય ચૂંટણી પંચે તેમના નિવેદનોને ‘ચૂંટણી સંચાલનના મહત્વપૂર્ણ કામગીરી પર આક્રમણ તરીકે ઓળખાવ્યું. પંચે કહ્યું કે ‘ચૂંટણી પંચ’ આવી ઘટનાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મક્કમ છે જેની સીધી અસર તેના મુખ્ય જનાદેશની કાર્યપ્રણાલી પર પડે છે. પંચે વોટિંગના આંકડાઓ પર ખડગે દ્વારા વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના નેતાઓને લખાયેલા એક પત્રની નોંધ લઈ અને તેને અયોગ્ય ગણાવી હતી. ચૂંટણી પંચે ભારપૂર્વક કહ્યું હતું કે મતદારના મતદાનના આંકડાના એકત્રીકરણ અને બહાર પાડવામાં કોઈ ભૂલ કે ક્ષતિ નથી રહી. તમામ જૂની અને વર્તમાન પ્રક્રિયાઓ અને પ્રથાઓની ચકાસણી કરાઇ છે. અને ખડગેના દાવાઓને નકારતા તમામ મુખી પાસાઓ સહિત જવાબ અપાયો છે.