ઊંઝા હાઇવે પર નકલી જીરું, વરિયાળી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો
રૂપિયા ૧૧.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો: ઊંઝા હાઇવે એસ.એલોન પાછળ આવેલ વિષ્ણુ ટ્રેડસ નામની ફેકટરીમાં કથિત નકલી જીરું, વરિયાળી બનાવતા હોવાની બાતમીના આધારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડી ૧૧,૮૪૯ કિલો લુઝ વરીયાળી તેમજ ૧૩ કિલો લીલો કલરનો જથ્થો મળી અંદાજીત ૧૧.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઊંઝા પંથકમાં વધુ એક નકલી જીરું વરિયાળી ફેકટરીનો પર્દાફાશ થયો છે. ઊંઝા હાઇવે પર આવેલ એસ.એલોન પાછળ આવેલ શ્રી વિષ્ણુ ટ્રેડસ નામની ફેકટરીમાં નકલી જીરું બનાવવામાં આવે છે તેવી હકિકતને આધારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડયો હતો. જેમાં કથિત નકલી વરીયાળી બનતું હોવાનુ જાણી ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે સદર ફેક્ટરીમાંથી વરિયાળી લુઝ ૨૩૬ કટ્ટા ૫૦ કિગ્રાના ૪૯ કિલોગ્રામનું એક કટ્ટા કુલ ૧૧,૮૪૯ કીલો ગ્રામ તેમજ લીલો કલર ૧૩ કિલો મળી કુલ રૂપિયા ૧૧,૮૪,૯૦૦ નો મુદામાલ કબજે કર્યો છે. શ્રી વિષ્ણુ ટ્રેડસના માલિકનું નામ રાજપુત નારાયણસિંહ પહાડજી હોવાનું જાણવા મળેલ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તમામ નુમનાઓ પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઊંઝા પંથકમાં કોણ જાણે કેમ છેલ્લાં ઘણા સમયથી નકલી જીરું અને વરિયાળી બનાવવાની પ્રવુતિએ જોર પકડ્યું છે. નકલી કારોબાર પકડાય એટલે બધું થોડા સમય માટે બંધ થયા બાદ બેરોકટોક આજ પ્રવુતિ પુનઃ ધમધમી ઉઠે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકોમાં ચર્ચાતી વાતો મુજબ, કથિત ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આ ભેળસેળનો કારોબાર ધમધમી રહ્યો છે.