સીતાપુરમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા, આરોપીએ પોતાને પણ મારી દીધી ગોળી
ઉત્તર પ્રદેશના સીતાપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં દારૂના નશામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના રામપુર-મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામમાં બની હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
સીતાપુરના એસપી ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે 45 વર્ષીય અનુરાગ સિંહ માનસિક રીતે નબળા હતા. તેને દારૂ પીવાની લત હતી. તેણે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. પછી તેણે આત્મહત્યા કરી લીધી. પહેલા અનુરાગે તેની માતા, પત્ની અને બાળકોની હત્યા કરી. ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકોમાં અનુરાગ પોતે, તેની 65 વર્ષીય માતા સાવિત્રી, તેની 40 વર્ષની પત્ની અને ત્રણ બાળકો (12, 9 અને 6 વર્ષ)નો સમાવેશ થાય છે. અનુરાગે વહેલી સવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરમાંથી ચીસો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચ્યા બાદ પોલીસને જાણ કરી હતી.
છત્તીસગઢમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા
એક દિવસ પહેલા છત્તીસગઢના કોરબા જિલ્લામાં એક જ પરિવારના ત્રણ લોકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. કોરબા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જિલ્લાના ઉર્ગા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કુકરીચોલી ગામમાં ગઈકાલે રાત્રે જયરામ રજક (28), તેની પત્ની સુજાતા રજક (25) અને પુત્રી જયસીકા (બે વર્ષ)ની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે શુક્રવારે સવારે ગામલોકોએ પોલીસને રજક પરિવારની હત્યાની જાણ કરી. ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને ઘરમાંથી કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલ આ મામલે પણ તપાસ ચાલી રહી છે.