![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ઊંઝા-તાલુકાના-કંથરાવી-ગામે-hed.jpg)
ઊંઝા તાલુકાના કંથરાવી ગામે મતદાન કર્યાં બાદ જુની અદાવતમાં એક જ કોમના બે ઇસમો વચ્ચે મારામારી
તાલુકા ભાજપ મંત્રી સહિત ત્રણ જણાઓને ઈજાઓ ઇજાગ્રસ્તને સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલ ખાતે ખસેડાયા: ઊંઝા તાલુકાના કંથરાવી ગામે મતદાન કર્યાં બાદ જુની અદાવતમાં એકજ કોમના બે ઇસમો વચ્ચે ઝગડો થતાં મારામારી સર્જાઈ હતી. જેમાં ઊંઝા તાલુકા ભાજપ મંત્રી સહિત ત્રણ જણાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વિગતો અનુસાર ઊંઝા તાલુકાના કંથરાવી ગામના ગિરીશ રૂઘનાથજી બ્રહ્મભટ્ટ હાલ સુરત રહે છે. જેઓ ઊંઝા તેઓના ભાડાના ઘરે આવેલ હોઈ તેમજ લોકસભાની ચૂંટણીને લઇ કંથરાવી ગામે મતદાન ચાલતું હોઈ મતદાન કરવા ગયા હતા. જ્યા કન્યા શાળા ખાતે મતદાન પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જૂની અદાવતમાં ભરતભાઈ બારોટ સાથે બોલાચાલી થતાં ઝગડો થવા પામ્યો હતો. જે ઉગ્ર બનતાં મારામારી સર્જાઈ હતી. ઈંટ વડે માથાના ભાગે હુમલો કરી ગડદાપાટુનો માર મારતાં ઈજાગ્રસ્તને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેનું નિવેદન લઈ બારોટ ભરતભાઈ હરગોવનજી, જનકભાઈ હરગોવનજી, મુકેશભાઈ હરગોવનજી, તારક ભરતભાઈ બારોટ, દિવ્યાંગ ભરતભાઈ બારોટ તમામ રહે. કંથરાવી તા.ઊંઝા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ સામાં પક્ષે નોંધાવેલ ફરિયાદ મુજબ ભરતભાઈ બારોટ મતદાનના આંકડા લેવા ગયેલા જે દરિમયાન માર્ગમાં ગિરીશભાઈ મળતાં અગાઉની જમીનની અદાવત હોઇ તકરાર કરેલ. જેમાં બોલાચાલી થતાં મારામારી સર્જાઈ હતી. ભરતભાઈ અને જનકભાઈને ઈંટનુ રોડું મારી નીચે પાડયાં હતા. બન્ને ઇજાગ્રસ્તને સારવાર અર્થે મહેસાણા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે ભરતભાઈ બારોટની ફરિયાદના આધારે ગીરીશભાઈ રૂગનાથજી બ્રહ્મભટ્ટ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.