ઇન્ફોસિસનો Q2 નફો 20.5 ટકા વધી રૂ. 4845 કરોડ રૂ. 12 વચગાળાનું ડિવિડન્ડ જાહેર, ગાઇડેન્સ સુધર્યા
દેશની બીજા ક્રમની આઇટી સર્વિસ કંપની ઇન્ફોસિસે સપ્ટેમ્બર-20ના અંતે પુરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 20.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4845 કરોડ (રૂ. 4019 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 8.5 ટકા વધી રૂ. 24570 કરોડ (રૂ. 22629 કરોડ) થયા છે. કંપનીએ શેરદીઠ રૂ. 12નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી છે. જે 50 ટકા વૃદ્ધિ સાથે હોવાનો કંપનીએ દાવો કર્યો છે.
કંપનીની ડિજિટલ અને ક્લાઉડ કેપેબિલિટીસ ઉપરાંત સતત ગ્રાહકલક્ષી અભિગમના કારણે કંપની માર્કેટની ધારણા કરતાં ઉત્કૃષ્ટ પરીણામો રજૂ કરી શકી છે. તેના કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો 20 ટકા ઉપરાંત વધ્યો હોવાનું કંપનીના સીઇઓ સલીલ પારેખે જણાવ્યું હતું. કંપનીએ 1 જાન્યુઆરીથી અમલમાં આવે તે રીતે કંપની તમામ સ્તરના કર્મચારીઓ માટે પ્રમોશન, પગાર વૃદ્ધિ સહિતના લાભોની યોજના ધરાવે છે.
કંપનીના ગાઇડેન્સમાં 2-3 ટકા સુધારો
કંપનીએ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સમાં તેના ગાઇડેન્સ સુધારીને 2-3 ટકા જારી કર્યા છે. અગાઉ કંપનીએ બે ટકા વૃદ્ધિનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિને પાર કરીને કંપનીએ તેની આવકો અને માર્જિનમાં વધારાની ધારણા વ્યક્ત કરી છે.
આવકો અને ગ્રાહકોમાં વૃદ્ધિનો આશાવાદ
ઇન્ફોસિસના સીઇઓ સલીલ પારેખે કહ્યું- કંપનીની આવકો અને તેના ગ્રાહકોની સંખ્યામાં નાણાકીય વર્ષ 2021 દરમિયાન સતત વૃદ્ધિનો આશાવાદ જોતાં કંપની ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રોત્સાહક કામગીરીનો આશાવાદ ધરાવે છે.
- કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા વધી 2.40 લાખ (2.36 લાખ) થઇ.
- મહિલા કર્મચારીઓનું પ્રમાણ પણ વધી 37.9 ટકા (37.4 ટકા) થયું
- નોકરી છોડી જતાં કર્મચારીઓનું પ્રમાણ 18.3 ટકાથી ઘટી 7.8 ટકા થયું